SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ લેખો વાંચતાં જ તેમના અનેક ગુણો આપણા માનસપટ ઉપર અંકિત થવા લાગે. સહુથી મોટો ગુણ તો ઊંડો અભ્યાસ. સ્વયં પ્રજ્ઞાચક્ષુ હોવાથી વાંચી શકે નહીં પણ નવા નવા પ્રકાશિત થતા ગ્રંથોનું શ્રવણ કરે અને તેને ધારી રાખે. અવધારણ કરવાની આ તેમની આગવી શક્તિ હતી. એક દૃષ્ટિસંપન્ન વ્યક્તિ પણ પોતાના જીવનકાળ દરમ્યાન જેટલા ગ્રંથો વાંચી ન શકે તેનાથી પણ વધુ ગ્રંથોનું શ્રવણ કર્યું છે અને તેને પોતાની સ્મૃતિમાં ધારી રાખેલા. ગ્રંથોની નાનામાં નાની વિગતોની નોંધ કરાવી લે અને પછી તેના ઉપર પુનઃ ચિંતનમનન કરે, તુલના અને સમીક્ષા કરે. તેમજ કોઈ પણ વિષય ઉપર લખતાં પૂર્વે તે વિષયની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરે. ત્યારબાદ જ લખવાનો વિચાર કરે. કશું પણ કલ્પનાથી વિચારીને ન લખવું કોઈ પણ બાબતનો આધાર હોય તો જ તે વિશે લખવું, અન્યથા તે જેવી અને જેટલી વિગતો જાણતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો, કોઈ અજાણ્યા કે વણખેડેલા વિષય ઉપર લખવાનો પ્રસંગ ઊભો થાય તો પહેલાં તે વિષયની પૂરી માહિતી મેળવે, પૂર્વે થયેલાં તમામ કાર્યોની જાણકારી કેળવે, તેનું શ્રવણ કરે અને વિષયને સંપૂર્ણ આત્મસાત્ કરે પછી જ લખાણ કરાવે. આવી તેમની નિષ્ઠા કોઈ પણ વિષયનો ઊંડો અભ્યાસ એ તેમની સહુથી મોટી વિશેષતા હતી. તેમનાં લખાણોની બીજી ધ્યાનાકર્ષક બાબત છે તે તેમનું સૂક્ષ્માવલોકન. તેઓ કોઈ પણ ગ્રંથનું શ્રવણ કરે પછી તેનું ગંભીર ચિંતન કરે. ગ્રંથોની પ્રસ્તાવના લખતાં પૂર્વે તેનું ઓછામાં ઓછું બે વાર તો શ્રવણ કરે જ. કેટલીક વાર તો વધુ વખત પણ શ્રવણ કરે. તે ગ્રંથની પ્રત્યેક બાબતો પર વિચાર કરે. આજે તો ગ્રંથોની પ્રસ્તાવના લખનાર લેખકો ગ્રંથ વાંચ્યા વગર જ માત્ર વિહંગાવલોકન કરી એકાદ બે પાનાની પ્રસ્તાવના લખી નાખે. તેમાં વિષયનો સ્પર્શ પણ ન થયો હોય. ઘણી વાર તો વિષયાન્તર પણ થતું હોય. પણ પંડિતજીના કોઈ પણ લખાણમાં આવી ખામી જોવા જ નહીં મળે. ગ્રંથનું સંપૂર્ણ અધ્યયન અને તે વિષયના અન્ય તમામ ગ્રંથોનું પણ શ્રવણ કર્યા બાદ જ પ્રસ્તાવના લખાવે. આવી પ્રસ્તાવના વાંચતાં બીજા અનેક વિષયોનો પણ વાચકને બોધ થાય. નવી માહિતી પ્રાપ્ત થાય. તેમના સૂક્ષ્માવલોકન ગુણની સહજ અનુભૂતિ થાય. ત્રીજો ગુણ વિષયોનું દીર્ઘકાલીન સેવન. કોઈ પણ વિષયનું લાંબા સમય સુધી સેવન કરવું. તેનું વારંવાર ચિંતન કરવું. ચારે બાજુથી ચિંતન કરવું. કોઈ પણ બાબત છોડાવી નહીં. જેમ પીપર એક સામાન્ય ઓસડ છે છતાંય તેને ચોસઠ પ્રહર સુધી ખાંડવામાં આવે તો તેના ઔષધીય ગુણોમાં અનેરી વૃદ્ધિ થાય છે. અને પારદને વારંવાર પટ આપવાથી દિવ્ય ઔષધ બની જાય છે. તેવી જ રીતે પંડિતજીની પ્રજ્ઞામાં જ્યારે જ્ઞાનના જટિલ વિષયો પણ વારંવાર ચિંતનની ભૂમિકામાં આવે એટલે ખરેખર અદ્દભુતતા પામે છે. ગોપાનો નાનકડો પ્રસંગ પણ જ્યારે પંડિતજીની ચિંતનયાત્રામાંથી પસાર થાય છે ત્યારે તે રમણીય બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy