SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતો અનેકાંત - ૧૮૧ છે કે તે લોકપ્રવાહનું અનુસરણ છે ? જો વસ્તુપાલ, ભામાશાહ કે બીજા કોઈ પણ તેવા વી૨ના રાષ્ટ્રોદ્વારકાર્યને અનેકાંતના વિવેકમાં ધરમૂળથી જ સ્થાન રહ્યું હોત તો તે વિવેક જૈન સમાજમાં એવું કાર્ય સતત ચાલુ રાખવાની અને પોષવાની પ્રે૨ણા આપત, પણ આપણે એથી ઊલટું જોઈએ છીએ. કોઈ પણ ત્યાગી કે ધર્મશાસ્ત્રી પંડિત રાષ્ટ્રકથાને વિકથા કહીને ઉતારી પાડે છે અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને રાજ્યવિરુદ્ધાતિક્રમ-અતિચાર કહીને તેમાં જોડાતા ઉત્સાહી યુવકોને હતોત્સાહ કરે છે. એક યુગ એવો હતો કે જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ એ શબ્દ સાંભળતાં જ કાનમાં શસ્ત્રનો ખણખણાટ સંભળાતો. તે વખતે અહિંસાના ઉપાસકો એવું પ્રતિપાદન કરતા કે જૈન ધર્મ અહિંસામૂલક હોવાથી હિંસા સાથે સંકલિત રાષ્ટ્રકાર્ય કે રાષ્ટ્રક્રાંતિમાં સાચો જૈન કેવી રીતે જોડાઈ શકે ? તરત જ બીજો યુગ એવો આવ્યો કે રાષ્ટ્રોત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસા ઉપર ગોઠવાઈ અને તે દૃષ્ટિએ ચલાવવામાં આવી. આ વખતે અહિંસા સિદ્ધાંતનો અનન્ય દાવો કરનાર કેટલાક ત્યાગીઓ અને પંડિતો કહેવા લાગ્યા છે કે રાજકીય પ્રવૃત્તિ યા રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન શક્ય નથી. અહીં પ્રશ્ન એ છે કે અહિંસાનું પાલન ચાં અને કેવી રીતે શક્ય છે, એ તે પક્ષકારોએ જણાવવું જોઈએ. જો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં એમને અહિંસાની શકયતા ન જણાતી હોય તો સામાજિક અને કૌટુમ્બિક પ્રવૃત્તિમાં એની શકયતા કઈ રીતે સંભવે ? છેવટે તો એવા વિચારકોને મતે અહિંસાની શકયતા એકમાત્ર મુનિમાર્ગ અને મુનિ–આચારો સિવાય અન્યત્ર સંભવવાનું ભાગ્યે જ ફલિત થશે અને મુનિમાર્ગ કે મુનિઆચાર એટલે છેવટે એકાંતિક નિવૃત્તિ કે નિષ્ક્રિયતા એવો જ અર્થ ફલિત થશે, જેનું મૂલ્ય તેરાપંથની નિવૃત્તિ કરતાં જરા પણ વધારે સિદ્ધ નહિ થાય. દાનનો નિષેધ સાર્વજનિક હિતપ્રવૃત્તિનો નિષેધ; એટલું જ નહિ, પણ જીવદયાપાલન સુધ્ધાંનો નિષેધ, એ તેરાપંથની નિવૃત્તિ; અને બીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવતો ગૃહસ્થવર્ગ બને તેટલું વધારેમાં વધારે ધન વગર મહેનતે કે ઓછામાં ઓછી મહેનતે સંઘરવાની વૃત્તિવાળો રહે. આ અહિંસા કેટલી સુંદર ! બીજાઓની સુખસગવડને ભોગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવર્ગ નભે, પણ તે જ ધનનો સમુચિત વિનિયોગ કરવાનો ઉપદેશ સુધ્ધાં આપવામાં તે પાપ માને આવી અહિંસાની વિડંબના અહિંસાનું સ્વરૂપ ન સમજવાને લીધે ઓછેવત્તે અંશે આખા સમાજમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક શરૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તો પછી યંત્રનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગનો માર્ગ ખુલ્લો કરવો એમાં અહિંસા છે કે ખાદી અંગીકાર નિરુદ્યોગીઓને બે કોળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે ? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું બીજું અંગ દલિત જાતિઓનો ઉદ્ધાર છે. કોણ એવો સમજદા૨ અહિંસાવાદી હશે, જે આ પ્રવૃત્તિને સર્વથા અહિંસામૂલક નહિ માને ? અને છતાં આપણે જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy