SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતો અનેકાંત - ૧૭૫ ન હોવા છતાં માત્ર સાંપ્રદાયિક માન્યતાને કારણે પોતાના જીવનમાં ગૌરવ લે.' ત્યારે હવે પ્રથમ પ્રશ્નને અંગે જ કાંઈક વિચારવું ઘટે છે. હું મારા વાચન અને ચિંતનને પરિણામે તદ્દન સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે પરિભાષા શૈલી અને ઉપયોગની પદ્ધતિ ગમે તેટલી જુદી હોય, છતાંય પ્રસિદ્ધ બધા જ જૈનેતર સંપ્રદાયના પ્રવર્તકો અને કેટલાક તેના અનુયાયીઓ સુધ્ધાં અનેકાંતને અવલંબીને જ પોતપોતાની ઢબે વિચાર પ્રગટ કરી ગયા છે. અને હું એમ સ્પષ્ટપણે જોઈ શકું છું કે અનેકાંતદષ્ટિએ વિચાર કરવાની શક્યતા જો જૈન સંપ્રદાયના પ્રવર્તકો ને અનુયાયીઓમાં સંભવિત છે, તો તેટલી જ શકયતા બીજા કોઈ પણ જુદા નામથી ઓળખાતા સંપ્રદાયના અનુયાયીઓમાં પણ સંભવિત છે. એટલું જ નહિ, પણ ઘણી વાર તો વ્યવહારમાં જૈન કરતાં જૈનેતર સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિઓમાં એ શક્યતા વધારે પ્રમાણમાં દગોચર થાય છે. મારા આ અભિપ્રાયની યથાર્થતા આંકવા ઇચ્છનારને હું થોડીક સૂચનાઓ કરવા ઇચ્છું છું. જો તેઓ સૂચના પ્રમાણે વર્તી જોશે, તો તેમને પોતાની આંખે એ સત્ય દીવા જેવું દેખાશે. સહેલામાં સહેલી અને સૌથી પ્રથમ અમલમાં મુકાય એવી સૂચના એ છે કે જે જૈનો હોય તે ઉત્તરાધ્યયન મૂળ અગર તેનું ભાષાંતર વાંચે. તેની સાથે જ બૌદ્ધ સંપ્રદાયનું માન્ય ધમ્મપદ ને વૈદિક સંપ્રદાયોની માન્ય ગીતા વાંચે. વાંચતાં કેવળ એટલી જ દૃષ્ટિ રહે કે દરેક સંપ્રદાયનાં તે તે શાસ્ત્રોમાં ચિત્તશુદ્ધિ, સંયમ, અહિંસા આદિ સદ્ગણોની પુષ્ટિ કેવી એકસરખી રીતે કરવામાં આવી છે. એથી આગળ વધી વધારે જોવા ઈચ્છનારને હું સૂચના કરવા ઈચ્છું છું કે ખુદ તથાગત બુદ્ધે પોતે કયા અર્થમાં ક્રિયાવાદી છે અને કયા અર્થમાં અક્રિયાવાદી છે એનો જે ખુલાસો કર્યો છે અને જે રીતે અનેકાંતદષ્ટિ જીવનમાં હોવાની સાબિતી આપી છે, તેને જેન અનેકાંત સાથે સરખાવવી. તે જ રીતે પાતંજલ યોગશાસ્ત્ર કે તેના કરતાંય બહુ જૂનાં ઉપનિષદોમાં જે અધિકાર પરત્વે અનેકવિધ આધ્યાત્મિક સાધનાઓ બતાવી છે, તેનું જૈન આધ્યાત્મિક સાધનાઓ સાથે તોલન કરવું, જેવું કે આચાર્ય હરિભદ્ર અને યશોવિજયજીએ કર્યું છે. જરથોત્રિયન, ક્રિશ્ચિયન અને ઇસ્લામી ધાર્મિક આજ્ઞાઓ સુધી ન જાય, તોય ઉપર કહેલ બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના જૈન શાસ્ત્રો સાથેના તોલનથી દરેકને એ ખાતરી થઈ જશે કે સત્ય અને તેની વિચારદૃષ્ટિ કોઈ એક જ પંથમાં બંધાઈ રહેતી નથી. આ મુદ્દાની વધારે સ્પષ્ટતા કરવા ઇચ્છનારને હું એક બીજી પણ સૂચના કરવા ઈચ્છું છું અને તે એ છે કે તેણે સમાન દરજ્જાના અમુક માણસો સરખી સંખ્યામાં દરેક સંપ્રદાયના અનુયાયીઓમાંથી પસંદ કરવા, પણ તેણે એ પસંદ કરેલ વ્યક્તિઓની જીવનચર્યા ને વિચારસરણી તટસ્થપણે નોંધવી. પસંદ કરાયેલ સરખા દરજ્જાના વ્યાપારીઓ હોય કે વકીલો, ડૉક્ટરો હોય કે શિક્ષકો, ખેડૂતો હોય કે નોકરો, આ બધાના પરિચયથી પરીક્ષક જોઈ શકશે કે વારસામાં અનેકાંતદષ્ટિ મળવાનો દાવો કરનાર ને તે બાબત વધારે ગૌરવ લેનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy