SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક અશ્વઘોષ અને કાલિદાસ બને ભારતીય કવિ છે અને બ્રાહ્મણકુલોદ્ભવ છે. તેમાંય અશ્વઘોષ તો કાલિદાસનો માત્ર પૂર્વવર્તી જ નહિ, પણ કાલિદાસના કવિત્વનો પ્રેરક સુધ્ધાં છે. તેમ છતાં પહેલેથી આજ લગી કાલિદાસની ખ્યાતિ જેટલી અને જે રીતે ભારતમાં વ્યાપેલી છે તેટલી અને તે રીતે અશ્વઘોષની ખ્યાતિ ભારતમાં પ્રસરી નથી. વિદ્વાન હોય કે માત્ર વિદ્યારસિક હોય, પણ ભારતને ખૂણે ખૂણે વસનાર હરકોઈ તેવી વ્યક્તિની જીભે કાલિદાસનું નામ અને તેની કૃતિઓ રમમાણ હશે; જ્યારે અશ્વઘોષના નામ કે તેની કૃતિઓને જાણનાર ભારતમાંથી વિરલ જ મળી આવશે. તેથી ઊલટું, ભારતની બહારના ભારતની ચોમેર સંલગ્ન અને ભારત કરતાંય અતિવિશાલ બૌદ્ધ પ્રદેશોમાં અશ્વઘોષનું નામ અને તેની કૃતિઓ સુપ્રસિદ્ધ છે; જયારે ટિબેટ, ચીન, મધ્ય એશિયાની આબાદીઓ અને સિલોન, બરમા આદિ પ્રદેશોમાં કાલિદાસ અને તેની કૃતિઓ વિશે જાણનાર વિરલ જ મળી આવશે. આ અંતરનું શું કારણ એ પ્રશ્નનો ઉત્તર સહજ અને ઇતિહાસસિદ્ધ છે. અશ્વઘોષ બ્રાહ્મણ કવિ છતાં તે બૌદ્ધ ભિક્ષુ થયો ન હોય અને તેણે તથાગતની ગાથા ન ગાતાં બ્રાહ્મણ સંસ્કૃતિનો યશોવિસ્તાર કર્યો હોત, તો તેનું સ્થાન ભારતમાં નિઃશંકપણે કાલિદાસના જેવું જ હોત. તેથી ઊલટું, કાલિદાસે સુગતસંસ્કૃતિની યશોગાથામાં જ સરસ્વતીને કૃતાર્થ કરી હોત તો ભારતમાં તે ભાગ્યે જ આટલી પ્રસિદ્ધિ પામત. અશ્વઘોષ અને કાલિદાસની ભારતમાંની ખ્યાતિના અંતર વિશેનું ઉપરનું નિદાન આચાર્ય માતૃચેટને વિશે પૂરેપૂરું લાગુ પડે છે. માતૃચેટ પણ ભારતનો જ સુપુત્ર છે. એટલું જ નહિ, પણ તે અશ્વઘોષ અને કાલિદાસની પેઠે તત્કાલીન સમ્રાટમાન્ય પણ રહ્યો છે, અને છતાંય આપણા ભારતીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy