SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ૮૩ સહાયથી શરીર આદિ બનાવ્યાં હશે ? આ પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોતકર જણાવે છે કે સંસાર અનાદિ છે એટલે પ્રથમ સર્ગની વાત કરવી વાહિયાત છે. પ્રલયાન્તરિત સર્ગોની પરંપરાને આદિ નથી. == ઈશ્વરને જગત બનાવવાનું પ્રયોજન શું છે ? જગતમાં લોકો જે કાર્ય કરે છે તે કોઈને કોઈ ઉદ્દેશથી કરે છે- અમુક વસ્તુ પ્રાપ્ત કરવા કરે છે કે અમુક વસ્તુ દૂર કરવા કરે છે. ઈશ્વરને શું દૂર કરવાનું નથી કારણ કે તેનામાં દુઃખ નથી. અને જગતમાં સર્વને દુઃખ જ દૂર કરવાનું હોય છે. તેને કંઈ પ્રાપ્ત કરવાનું પણ નથી કારણ કે તે વશી છે, તૃષ્ણારહિત છે, પૂર્ણકામ છે. કેટલાક દાર્શનિકો માને છે કે ઈશ્વર ક્રીડા કરવાના પ્રયોજનથી જગતને ઉત્પન્ન કરે છે. આ મત બરાબર નથી. ક્રીડા તો આનંદ પ્રાપ્ત કરવા થાય છે, અને આનંદ પ્રાપ્ત કરવા તો તે પ્રયત્ન કરે છે જે દુઃખી હોય છે. પરંતુ ઈશ્વરમાં તો દુઃખનો અભાવ છે. એટલે તે ક્રીડા કરવા માટે જગત ઉત્પન્ન કરે નહિ. કેટલાક દાર્શનિકો કહે છે કે ઈશ્વર પોતાની વિભૂતિનું પ્રદર્શન કરવા માટે વિચિત્ર અને વિરાટ જગત ઉત્પન્ન કરે છે. પરંતુ આ મત પણ બરાબર નથી. તે શા માટે પોતાની વિભૂતિનું પ્રદર્શન કરે ? આવું વિભૂતિપ્રદર્શન તેના નિત્ય ઐશ્વર્યમાં કંઈ વધારો કરે છે ? ના, જરાય નહિ. તે આવું પ્રદર્શન કરવાનું બંધ કરે તો તેથી તેના નિત્ય ઐશ્વર્યમાં કોઈ ઓછપ આવવાની નથી. તો પછી ઈશ્વર જગત શા માટે બનાવે છે ? ઉદ્યોતકરનો ઉત્તર છે કે તે તેનો સ્વભાવ છે માટે. ધરતી વસ્તુઓને ધારણ કરે છે કારણ કે તે તેનો સ્વભાવ છે. તેવી જ રીતે, ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે કારણ કે જગતને ઉત્પન્ન કરવું એ તેનો સ્વભાવ છે. અહીં ઉદ્યોતકરે એ ઉત્તર નથી આપ્યો કે જીવો પોતાનાં કર્મોનાં ફળ ભોગવી શકે માટે ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે. આની નોંધ લેવી જોઈએ. જો જગતનાં કાર્યોની ઉત્પત્તિ કરવી તે તેનો સ્વભાવ હોય તો તે સતત કાર્યો ઉત્પન્ન કર્યા જ કરે અને કદીય વિરમે નહિ. જો અ-કાર્યને ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય, ૬કાર્યને ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય, કાર્યને ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય અને આમ...n કાર્યો ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય તો તેનો તે સ્વભાવ દરેક ક્ષણે હોવાનો જ અને પરિણામે તેણે અ, વ, ... n કાર્યો એક જ ક્ષણે એક સાથે જ કરવાં જોઈએ, અર્થાત્ તે બધાં કાર્યોનો ક્રમથી કર્તા છે એ મત ઘટશે નહિ.૬૮ ઉપરની શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે નિર્દિષ્ટ દોષ આવતો નથી કારણ કે કર્તા બુદ્ધિમાન છે અને વળી તેનું કર્તૃત્વ સાપેક્ષ છે. તે બુદ્ધિમાન અને સાપેક્ષ કર્તા હોઈ બધાં કાર્યોને એક સાથે ઉત્પન્ન કરતો નથી; જે કાર્યની કારણસામગ્રી ઉપસ્થિત હોય છે તેને ઉત્પન્ન કરે છે, જેની કારણસામગ્રી ઉપસ્થિત નથી હોતી તેને ઉત્પન્ન કરતો નથી. તેનો જગતનાં બધાં કાર્યોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોવા છતાં તે તે બધાં કાર્યોને એક કાળે ઉત્પન્ન નથી કરતો કારણ કે તે તે કાર્યને ત્યારે જ ઉત્પન્ન કરે છે જ્યારે તે કાર્યરૂપ ફળ જે જીવને ભોગવવાનું હોય તે જીવના તે ફળને અનુરૂપ કર્મનો વિપાકકાળ આવે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy