SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ 20 કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાટણની એક સરસ્વતી, ભલે અત્યારે સાવ શુષ્ક હોય અને પોતાના કિનારે આવેલાને, રહેલાંને ભલે તૃષાથી આકુળ વ્યાકુળ કરતી હોય તથા કચ્છના રણમાં સુકાઈ જઈ કુંવારિકા કહેવાતી હોય પરંતુ પાટણની બીજી સરસ્વતીએ ભગવાન હેમચંદ્રાચાર્યનું સેવિકાપણું સ્વીકારી સમગ્ર ગુજરાતના સાહિત્યોદ્યાનને નવપલ્લવિત કર્યું. એ સરસ્વતીનાં જ્ઞાન-નીર હજુ પણ, માત્ર ગુજરાત કે ભારતને નવપલ્લવિત કરીને અટકી નથી ગયાં, પરંતુ તે અરબસ્તાનને પેલે પાર યુરોપમાં જર્મનીના સાહિત્યોદ્યાનને પણ નવપલ્લવિત કરી રહ્યાં છે. જાણે કે પાટણની સરસ્વતી સવાઈ થઈને બર્લિનમાં વસી રહી છે. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યની સરસ્વતીને કાંઠે આવેલો કોઈ પણ મનુષ્ય તરસ્યો રહેતો નથી. બાળકને બાળક જેવું, તરુણને તેના યોગ્ય, યોગીને તેના યોગની પુષ્ટિ કરનાર, સંસારીને તેના સંસારમાં ઉપયોગી વ્યવહાર અને નીતિનું માર્ગદર્શન આપવાનું, રાજનેતાઓને રાજનીતિ અને માત્ર આનંદ ખાતર વાંચનારને આનંદ એમ દરેક વ્યક્તિને યોગ્ય સામગ્રી મળે છે. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યની આવી મહાન સરસ્વતીનો કાંઈક અંશ પામીને આ સદીમાં “સરસ્વતીચંદ્ર'ની રચના કરવાનું શકવર્તી કાર્ય, સાક્ષર શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ કરી, પાટણની સરસ્વતીને પુનઃ ગુજરાતમાં લાવવાનું કૌવત, સામર્થ્ય ગુજરાતીઓમાં છે, તેનું ભાન ગુજરાતીઓને કરાવી આપ્યું આજના પાટણમાં ભૂતકાલીન પાટણની સરસ્વતીનો માત્ર શબ્દદેહ કે આકૃતિદેહ ભલે રહ્યો હોય પરંતુ તેનો આત્મા તો અત્યારે બર્લિનમાં રહ્યો છે. એ રિસાઈ ગયેલી સરસ્વતીને મનાવી તેનું ભારતમાં, ગુજરાતમાં પુનરાગમન કરાવવાનું ભગીરથ કાર્ય આજના સરસ્વતી-ઉપાસકોએ કરવાનું છે. સરસ્વતીના કિનારે વસી, સરસ્વતીના નીરનું પાન કરી, સરસ્વતીની ઉપાસના કરી, સરસ્વતીની પ્રસન્નતાની પ્રાપ્તિ કરનાર ગુજરાતના આ મહાન સુપુત્ર વિદ્યાના કોઈપણ ક્ષેત્રને પોતાના સ્પર્શથી નવપલ્લવિત કર્યા વિનાનું રાખ્યું નથી. આજે આ મહાપુરુષના જન્મને 900-900વર્ષ વીતી ગયાં છતાંય ગુજરાતની પ્રજા તેમને ગૌરવભેર સ્મરે છે. તેમના જીવનકાળની ઘટનાઓ, તેમની કૃતિઓ હજુ આજેય ગુજરાતની પ્રજાને ગૌરવાન્વિત કરે છે. તેઓએ નિર્માણ કરેલ વિવિધ વિષયોનાં અમાપ સાહિત્યમાંથી ઉપલબ્ધ થોડુંઘણું પણ સાહિત્ય માત્ર ગુજરાતના કે ભારતના જ નહિ બલકે, યુરોપના વિદ્વાનોને પણ મંત્રમુગ્ધ કરે છે. એ સાથે સાથે પ્રજામાં નવસંસ્કારોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy