SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ બનારસ જેટલો દૂર દેશ, કોઈ સગુંવહાલું નહીં, પાસે પૈસાની પૂરતી સગવડ પણ નહીં – પણ જિજ્ઞાસા સંતોષવા માટેના પુરુષાર્થની આડે આવો કોઈ વિચાર સુખલાલને આવ્યો નહીં. છતાં દિવસો તો કઠણાઈના હતા જઃ ઓછામાં ઓછી જરૂરિયાતને પૂરી કરવા માટે ખપપૂરતા પૈસા તો જોઈએ જ ને ! પણ બંને યુવાનો સ્વપ્નદર્શી બન્યા હતા. એમણે વિચાર્યું ઃ અહીંયાં આર્થિક સગવડ મળી જાય તો ઠીક, નહીં તો અમેરિકાના મિ.ોકફેલર ઘણી સ્કૉલરશિપો આપે છે, તો એ મેળવીને જઈ પહોંચીશું અમેરિકા ! પણ ભાવિ યોગે જરૂરી આર્થિક સગવડ મળી ગઈ અને અમેરિકાનો વિચાર વિસારે પડ્યો. હવે તો વિદ્યા-ઉપાર્જનનો ખરેખરો સમય શરૂ થયો. તે કાળે વણિક વિદ્યાર્થીને બ્રાહ્મણ પંડિતો પાસેથી સંસ્કૃત વિદ્યા શીખવી ભારે કઠણ કામ હતું. પણ, બળબળતા તાપમાં કે કડકડતી ટાઢમાં, રોજ આઠ-દસ માઈલ ચાલીને અને પંડિતોને ઘેર ઘેર ફરીને પણ તેઓ થાકચા નહીં. છેવટે ગુરુઓને પ્રસન્ન કરીને તેઓએ પોતાનો હેતુ પાર પાડ્યો. ધીરે ધીરે સુખલાલ, પંડિત સુખલાલજી બનવા લાગ્યા અને એમનું જ્ઞાન તલસ્પર્શી બનવા લાગ્યું. આ ગંગાતીરના વસવાટ દરમિયાન, કોઈ કોઈ વાર પંડિતજી હાથને કાંડે દોરડું બાંધી, એનો છેડો કોઈને સોંપી, ગંગાસ્નાનનો આનંદ માણી લેતા. એક વાર, ઓસરતા પૂરે, કારતક માસમાં, એમ ને એમ નદીમાં ઝંપલાવ્યું અને લાગ્યા તણાવા; પણ એમના મિત્ર વ્રજલાલજી વખતસર મદદે જઈ ચડ્યા. વિ. સં. ૧૯૬૬માં સુખલાલજીને ન્યાયાચાર્યની પરીક્ષા આપવાનો વિચાર થયો. પરીક્ષા આપવા ગયા તો લહીઓ માથાનો મળ્યો ઃ સુખલાલજી લખાવે કંઈ અને લહીઓ લખે કંઈ ! એમણે પોતાની મુશ્કેલી કૉલેજના પ્રિન્સિપાલ શ્રી વેનિસ સાહેબને કહી. એ અંગ્રેજ વિદ્વાને, વિદ્યાર્થીનું દિલ પારખીને, તરત મૌખિક પરીક્ષાની ગોઠવણ કરી દીધી અને પોતે પણ પરીક્ષકોની સાથે બેઠા. પંડિતજીના ઉત્તરો સાંભળી શ્રી. વેનિસ ખૂબ રાજી થયા. અને પરીક્ષકોમાંના એક શ્રી. નામાચરણ ભટ્ટાચાર્ય તો એટલા પ્રસન્ન થયા કે એમણે સુખલાલજીને પોતાની પાસે ભણવા આવવાનું કહ્યું. પંડિતજીનું વિદ્યાર્થીજીવન ધન્ય બન્યું. આ પછી ન્યાયના આચાર્યના ત્રણ ખંડની પરીક્ષા પણ આપી દીધી. પણ છેલ્લી પરીક્ષા વખતે, વિ. સં. ૧૯૬૯માં, પરીક્ષકોનો એવો કડવો અનુભવ થયો કે પરીક્ષા માટે એ કૉલેજ–ભવનમાં ફરી નહીં પ્રવેશવાનો સંકલ્પ કરીને પંડિતજી ચાલતા થયા ! આ પછી છેક ૨૨-૨૩ વર્ષે, વિ. સં. ૧૯૯૨માં, પાઠ્યક્રમસંશોધન સમિતિના સભ્ય તરીકે જ તેઓ એ ભવનમાં માનપૂર્વક ગયા ! For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy