SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વૈશેષિકમત અનુસાર આ જગત પરમાણુમાંથી ઉત્પન્ન થયું છે. પ્રશ્ન થાય કે પરમાણુ પરિચ્છિન્ન છે કે અપરિચ્છિન્ન? પરમાણુ સગુણ છે કે નિર્ગુણ? સાકાર છે કે નિરાકાર? પરમાણુઓ સક્રિય છે કે નિષ્ક્રિય? ઊંડી દૃષ્ટિએ જોતાં પરમાણુવાદ ઘણો અસ્પષ્ટ અને ક્ષતિવાળો જણાય છે. વૈશેષિક દર્શનમાં ઈશ્વરને જે સ્થાન આપવામાં આવ્યું છે તે અંગે પણ ટીકા થયેલી છે. વૈશેષિક દર્શનમાં ઈશ્વરને સ્વતંત્ર સંચાલક માનેલ નથી અને મુક્ત આત્માઓ પણ ઈશ્વરમાં લય પામતા નથી. ઈશ્વરભક્તિ માટે પણ આ દર્શનમાં કોઈ સ્થાન નથી. ઈશ્વરના અનુગ્રહની પણ જરૂર રહેતી નથી. આ દર્શનમાં ઈશ્વરનું સ્થાન નહીંવત્ છે. વૈશેષિકોનો મોક્ષવિષયક ખ્યાલ અભાવાત્મક છે. મુક્તાત્મા સુખ, દુઃખ, સંવેદનથી રહિત - ચૈતન્યશૂન્ય બની જાય છે. આવા ચૈતન્યશૂન્ય મુક્તાત્મા અને જડ પથ્થરમાં કોઈ ફરક સંભવતો નથી. કેટલાક ટીકાકારોએ આવા મોક્ષને માત્ર અર્થહીન કહ્યો છે. એક વૈષ્ણવ વિચારક તો વૈશેષિકોએ કરેલ કલ્પના મુજબની મુક્તિ મેળવવા કરતાં જ્યાં ખુદ શ્રીકૃષ્ણનાં પગલાં પડ્યાં છે એવા વૃંદાવનના ગાઢ જંગલમાં શિયાળ બનીને જમણ કરવાનું વધુ પસંદ કરે છે.' વૈશેષિક દર્શનના વિવિધ સિદ્ધાંતો સામે કડક ટીકાઓ થયેલી છે. તેમ છતાં વૈશેષિકમતનું મહત્ત્વ ઓછું નથી. વૈશેષિકમત એ કોઈ માત્ર લૌકિક કે વ્યવહારિક બુદ્ધિના આધારે કે કલ્પનાથી રચાયેલો મત નથી. તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ ઘણું છે. વૈશેષિક દર્શનમાં ભારતીય ભૌતિક શાસ્ત્રનો પ્રથમ પાયો છે, છતાં વૈશેષિક દર્શન એ કોરો ભૌતિકવાદ પણ નથી. સમસ્ત જગતને તે ભૌતિક પરમાણુઓના સંયોગના પરિણામ તરીકે માને છે, છતાં તેણે પરમાણુવાદનો ઈશ્વરવાદ સાથે સમન્વય કર્યો છે. ‘પદાર્થ' શબ્દની રચના તથા તેનો પ્રયોગ ભારતીય દાર્શનિક ઇતિહાસમાં વૈશેષિક દર્શનની એક આગવી ભેટ છે. ‘પદાર્થ'ના ખ્યાલ દ્વારા લગભગ બધા જ વિષયોનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન વૈશેષિક દર્શને કર્યો છે. ‘પદાર્થનો આ ખ્યાલ સૂક્ષ્મ બુદ્ધિનો પરિચાયક છે. પદાર્થ સંબંધી તેના વિચારો વૈજ્ઞાનિક વિશ્લેષણની દષ્ટિએ થયેલા હોવાથી ઘણા મહત્ત્વપૂર્ણ છે. ૧- જુઓ : શ્રી શંકરાચાર્યજીકત, ‘સર્વસિદ્ધાંત સંગ્રહ’, નૈયાયિકપક્ષ, શ્લોક ૪૧,૪૨ 'नित्यानन्दानुभूतिः स्यान्मोक्षे तु विषयादृते । वरं बृन्दावने रम्ये सृगालत्वं वृणोम्यहम् ।। वैशेषिकोत्कमोक्षात्तु सुखलेशविवर्जितात् । यो वेद विहितैर्यज्ञैरीश्वरस्य प्रसादतः ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy