SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૯ ૨૯૫ અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન ઉપાધ્યાયશ્રીને ફિક્યું લાગે છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જનાર જીવ પણ અજ્ઞાની હોઈ શકે. જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણેલો છે તે ન કહી શકાય; મેલાં-ઘેલાં કપડાંવાળો વિદ્વાન હોઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતો માણસ અભણ હોઈ શકે, તેમ માત્ર શાસ્ત્રોનાં ઓછાં-વધતાં જાણપણાથી જ અજ્ઞાની-જ્ઞાનીનો ભેદ ન કરી શકાય. ઘણું ભણેલો અજ્ઞાની હોઈ શકે અને એક પણ શાસ્ત્ર ન ભણેલા જ્ઞાની હોઈ શકે. અલબત્ત શાસ્ત્રોનું મૂલ્ય ઓછું આંકવાનું નથી, કારણ કે અનુભવની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેની વિધિ શાસ્ત્રોમાં રહેલી હોય છે. શ્રીમદ્ આ ગાથામાં એ વાત સ્પષ્ટ કરે છે કે જ્ઞાનનો માપદંડ શાસ્ત્રાધ્યયનની ન્યૂનતા કે વિપુલતા નથી, પરંતુ મોહનો ક્ષય અથવા શાંતતા છે. જેમનો મોહ ક્ષય અથવા પ્રશાંત થયો હોય તેમને જ્ઞાન થયું ગણાય. મોહાધીન દશા વર્તતી ન હોય એનું નામ જાણ્યું કહેવાય. ‘જાણ્યું તો એનું ખરું જે મોહે નવિ લેપાય.' કેવળ શાસ્ત્રની બાહ્ય જાણકારીથી કોઈ ફરક નથી પડતો. મોહના નાશનું લક્ષ્ય ન હોય અને જીવ શાસ્ત્ર અધ્યયન ગમે તેટલું કરે તો પણ એનાથી કોઈ ક્રાંતિ થતી નથી. માછીમારનું ધ્યેય માછલી છે, જાળ નહીં. માછલી પકડવામાં જાળ એ તો માત્ર એક સાધન છે. જો કોઈ માછીમાર જાળને જ પકડી રાખે અને માછલીને પકડવાનો પુરુષાર્થ કરે નહીં તો શું થાય? તેમ શાસ્ત્ર-અભ્યાસનો મૂળ ઉદ્દેશ ભૂલીને જો શાસ્ત્રને માત્ર બુદ્ધિમાં ગ્રહણ કરી રાખવામાં આવે તો તે દ્વારા કૃતકૃત્યતાનો ભાવ નીપજે છે, અહંકાર ઊપજે છે, પણ અધ્યાત્મ નથી નીપજતું. જે જીવ સાંભળવામાં, વાંચવામાં સંતોષ માનીને બેસી રહેતો નથી, પણ પરિણમનનો પુરુષાર્થ કરે છે તે જ આગળ વધે છે. જે સાંભળીને-વાંચીને બેસી રહે છે તેની યાત્રા આગળ વધતી નથી, તે કશે પણ પહોંચતો નથી; પણ જે ચાલવા માંડે છે તે, માત્ર તે જ પોતાની મંજિલે પહોંચે છે. તે ત્યાં પહોંચી જાય છે કે જ્યાં આત્મપ્રભુનો વાસ છે. જ્યાં આત્મદેવ બિરાજમાન છે ત્યાં તેનો પ્રવેશ થાય છે અને તેને સત્યની ઉપલબ્ધિ થાય છે. સ્વયંના સાક્ષાત્કાર માટે, અસ્તિત્વની અનુભૂતિ માટે કેવળ શાસ્ત્રનું શ્રવણ-વાંચન નહીં ચાલે, તે માટે પૂરી નિષ્ઠાપૂર્વકનો પ્રયોગાત્મક અભ્યાસ આવશ્યક છે. સ્વચ્છંદપ્રમાદ ખંખેરી જબરદસ્ત પુરુષાર્થ કરવો જોઈએ. રુચિને ઢંઢોળવી જોઈએ. તેને જાગૃત કરીને કામે લગાડવી જોઈએ. શાસ્ત્ર-અધ્યયન દ્વારા સ્વ તરફ વળવું જોઈએ. શાસ્ત્રમાં કહેલી વાતને પોતા ઉપર ઘટાવવી જોઈએ. શાસ્ત્રમાં આપેલ માર્ગદર્શનને અમલમાં મૂકવું જોઈએ. આમ કરવાથી જ શાસ્ત્રાભ્યાસ મુક્તિસાધક બને છે. કેવળ શાસ્ત્રોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy