________________
૨૭૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ ખેદ ન આવે, પોતામાં રહેલ ગુણને કોઈ અવગુણરૂપે વર્ણવે તોપણ ઉત્તેજિત ન થાય, કોઈ ખોટી રીતે પોતાની વસ્તુ પડાવે, પોતાને બાંધીને અનેક પ્રકારની પીડા આપે કે ઘરમાંથી બહાર કાઢી મૂકે છતાં પણ જેના મનમાં ખળભળાટ ઉત્પન્ન ન થાય અથવા ઉત્પન્ન થયેલ ખળભળાટને આત્મવિચારથી શાંત કરી દે તે જીવ જ ક્ષમાનો ધારક છે.
- અજ્ઞાનના કારણે જ્યાં સુધી જીવને પરપદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતા રહે છે ત્યાં સુધી ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહે છે, પરંતુ જ્યારે તત્ત્વાભ્યાસના બળ વડે પરપદાર્થોમાંથી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દૂર થાય છે ત્યારે ક્રોધાદિની ઉત્પત્તિ થતી નથી. પોતાને થતાં સુખ-દુઃખના કારણરૂપ અન્યને માનવા એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. ‘મારાં સુખ-દુઃખનો કર્તા હું પોતે જ છું', આ પરમ સત્યથી અપરિચિત હોવાના કારણે અજ્ઞાની પોતાનાં સુખ-દુઃખના કર્તા તરીકે અન્યને માની, ક્રોધાદિ કર્યા કરે છે અને દુઃખી થાય છે. કોઈ પરવસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ અને સુખી-દુઃખી કરી શકતી નથી' એ બોધ દૃઢ થતાં ક્ષમાદિ કેળવાય છે. જો જીવ સુખ-દુ:ખનાં કારણને પોતાનામાં જ જુએ, વિકારનાં કારણને પોતામાં જ શોધે અને તેનો જવાબદાર પોતાને જ માને તો તેને ક્રોધાદિ ઉત્પન્ન થતા નથી.
જીવને પરસંયોગો પોતાને દુઃખ આપનાર લાગે છે, પરંતુ એ તો માત્ર નિમિત્ત છે. મૂળ ભૂલ તો જીવની પોતાની જ છે. જીવને તેના પૂર્વકર્મનું ફળ મળે છે તેમાં અન્ય તો માત્ર નિમિત્ત છે. જે કંઈ બને છે તે પૂર્વકર્માનુસાર જ બને છે. જીવને પોતાનું જ કરેલું મળે છે, પોતાનું જ વાવેલું ફળે છે, અન્ય તો માત્ર નિમિત્ત છે. નિમિત્તનો કોઈ દોષ નથી. જવાબદારી સંપૂર્ણપણે જીવની પોતાની જ છે, તેથી પોતાની ભૂલને પકડવી, નિમિત્તને દોષ આપવો નહીં. જ્યારે પણ ક્રોધ આવે કે તરત પોતાની ભૂલ પ્રત્યે ધ્યાન ખેંચાવું જોઈએ. નિમિત્ત પ્રત્યે ક્ષમાભાવ રહેવો જોઈએ.
આ જગતમાં જીવનો કોઈ શત્રુ નથી. શત્રુતા જીવની અંદર પડી છે. તેનો આરોપ તે નિમિત્ત ઉપર કરે છે. શત્રુ અંતરમાં છે, બહાર નથી. શત્રુ બિરાજી રહ્યો છે જીવના અંતરમાં, પણ તેને દેખાય છે બહાર. સ્વયંની દૃષ્ટિમાં જ શત્રુ છુપાયો છે. તેનો નાશ કરવામાં આવે તો દુનિયામાં રહેલા પોતાના તમામ ‘શત્રુઓ' નાશ પામે છે. સમસ્ત જગતને નિર્દોષ જોવાનો અભ્યાસ કરતાં ક્રોધ ટળે છે. ક્રોધાદિના જે સંસ્કાર આત્મામાં પડ્યા છે તે નિમિત્ત મળતાં બહાર આવે છે, પરંતુ સમ્યક વિચારણા કરતાં તે નાશ પામે છે અને ક્ષમાસ્વભાવ પ્રગટ થાય છે.
આ પ્રકારે ક્રોધ ઊપજે, બીજાનું ખરાબ કરવાનું મન થાય, વેર વાળવાની ઇચ્છા ઉત્પન થાય ત્યારે સમ્યક્ બોધ દ્વારા ક્રોધનું શમન કરવું તે ક્ષમા છે. ક્રોધનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org