________________
ગાથા-૧૩૪
૧૫૯ સાધક જ્ઞાનના અખંડ પિંડની સન્મુખ થાય છે, તેની સાથે અભેદતા - એકત્વ સ્થાપે છે ત્યારે તે પોતાની સત્તાનું, પોતાના અસ્તિત્વનું વેદન કરે છે. આ જ છે સ્વાનુભવ - આત્માનુભવ. આ જ છે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન.
જે પોતાના પરમાત્મસ્વભાવને સ્વાનુભવ વડે ગ્રહણ કરે છે તે જિનવાણીના બાર અંગનો સાર ગ્રહણ કરી લે છે, કેમ કે જિનવાણીમાં ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો છે તે આત્માના શુદ્ધ સ્વભાવના ગ્રહણ માટે જ આપ્યો છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્યાં પ્રત્યક્ષ સ્વસંવેદનમાં આવી ગયો ત્યાં તેને જિનવાણીનું કોઈ રહસ્ય જાણવાનું બાકી રહેતું નથી. સ્વાનુભવમાં તેણે આત્મસ્વભાવનો તાગ લઈ લીધો હોવાથી તે જ ખરો પંડિત છે - અંતરાત્મા છે. તે જીવ અલ્પ કાળમાં ભવનો નાશ કરીને પરમાત્મદશા પ્રગટાવે છે.
અસીમમહિમાવંત જ્ઞાયકપિંડ ભગવાન આત્માનો અનુભવ કરતાં, સમ્યગ્દર્શન પ્રગટાવતાં આત્માની શક્તિઓનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. અભેદ આત્માનો અનુભવ થતાં આત્માની અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે, પ્રગટે છે, વ્યક્ત થાય છે. તે શક્તિઓની શુદ્ધતા એકલા દ્રવ્ય-ગુણમાં જ નથી રહેતી, પણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં પ્રસરી જાય છે. ચૈતન્યસિંહની શ્રદ્ધારૂપી સિંહગર્જના સામે સંયોગ, કર્મ, રાગદ્વેષ, સંકલ્પ-વિકલ્પરૂપી હરણિયાં ઊભાં રહી શકતાં નથી. ચૈતન્યસિંહ વિજેતા થઈને પોતાની શુદ્ધ આનંદમય પર્યાયમાં ઝૂલતો ઝૂલતો પરમાત્મપદને પામીને મોશે પહોંચી જાય છે. ચૈતન્યસિંહ શૌર્યથી, વીરતાથી સિદ્ધદશા પ્રગટાવે છે. ત્રિકાળી, અભેદ, શુદ્ધ જ્ઞાયકદ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાથી વિભાવભાવોનો અભાવ થતો જાય છે અને પર્યાયમાં સિદ્ધદશા પ્રગટે છે. માટે સિદ્ધદશા પ્રાપ્ત કરવી હોય તો સૌ પ્રથમ જ્ઞાયકતત્ત્વની
ઓળખાણ કરવી જોઈએ. સદ્ગુરુની કૃપામય ઉપસ્થિતિમાં, તેમના ઉત્કૃષ્ટ બોધબળથી જ્ઞાયકતત્ત્વની જે પકડ થાય, જ્ઞાયકતાના જે ભણકારા વાગે, તેનો દોર પકડી લેવો જોઈએ. દરેક પ્રસંગે એ દોરાની સંભાળ રાખવી જોઈએ અને જીવનના પ્રસંગરૂપી મણકા એ દોરામાં પરોવતા જવું જોઈએ.
જ્યાં સુધી જ્ઞાયકસ્વરૂપની આવી જાગૃતિ નથી આવતી, ત્યાં સુધી જીવને હું' નું વિસ્મરણ થતું નથી. હું'ની પકડ હોવાથી તેને અમુક વસ્તુ ગમી જાય છે અને અમુકનો તે વિરોધ કરે છે. તે શાંત સ્વીકાર નથી કરી શકતો. પરિણામે ફરિયાદ, ક્લેશ આદિ ભાવ ઊઠતા રહે છે, સુખ-દુ:ખ પરમાંથી આવે છે એવો મિથ્યા બોધ પુષ્ટ થતો જાય છે અને તેના કષાય તીવથી તીવ્રતર બનતા જાય છે. કષાય હોય ત્યાં ક્લેશ, અશાંતિ, દુ:ખ હોય જ છે. આમ, સ્વરૂપની જાગૃતિ વિના જીવ સુખ-શાંતિ પામતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org