SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કર્મકર્તુત્વ ટાળી શકાય છે; માટે કર્મબંધ કરવો એ જીવનો સ્વભાવ નથી. આમ, જીવ કરે તો જ કર્મ થાય છે અને જીવ ન કરે તો કર્મ નથી થતાં. જીવ વિભાવપરિણામ ન કરે તો કર્મબંધ થતો ન હોવાથી કર્મ સહજ સ્વભાવે આત્મા સાથે બંધાય છે એમ કહેવું યુક્તિયુક્ત નથી. કર્મ અનાયાસે આત્મા સાથે બંધાઈ શકતાં નથી. વળી, કર્મ એ જીવનો ધર્મ પણ નથી, કારણ કે કર્મ બાંધવાં એ જીવનો સ્વભાવ હોય તો સ્વભાવ તો ત્રણે કાળ આત્માથી છૂટો પડી શકે નહીં અને તેથી કર્મબંધ પણ કદાપિ અટકી શકે નહીં. પરંતુ જીવ વિભાવપરિણામ રોકી શકે છે અને તે દ્વારા કર્મબંધ પણ રોકાય છે, માટે કર્મ કરવાં એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી. શ્રીમદે આ ગાથાની પ્રથમ પંક્તિ “જે ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ' દ્વારા જીવના કર્મકતૃત્વ વિષે શિષ્યને ઉદ્ભવેલ શંકા સંબંધી બન્ને દલીલો “અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ'નું યથાર્થ સમાધાન આપી, સરળતાથી અને સંક્ષેપમાં સચોટ ન્યાય વડે આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવ્યો છે. શ્રીમદે માત્ર એક પંક્તિમાં કર્મસિદ્ધાંતના મર્મને પ્રતિપાદિત કરી પોતાની અદ્ભુત શૈલીનું દર્શન કરાવ્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – 'જે ચેતન કરતું નથી, કોઈ પ્રકારે કર્મ; તો પછી જે જડ સર્વથા, કેમ કરી શકે કર્મ. માટે જીવ કરે ન જો, નથી થતાં તો કર્મ; જોશે જરા વિચારીને, સમજાશે તો મર્મ. જ્યારે જીવ વિના કદી, બને નહિ નિર્ધાર; તેથી સહજ સ્વભાવ નહિ, જાણો હૃદય મજાર. થાય ન નાશ સ્વભાવનો, જો ન કરે જીવ કર્મ; પણ તેથી તે ટળી શકે, તેમ જ નહિ જીવધર્મ. ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૯૭-૩૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy