SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬૭ ૩૬૭ અવ્યવસ્થા લાવવા કરતાં તેની વ્યવસ્થા માટે માનવામાં આવતી યુક્તિસિદ્ધ વસ્તુઓ સ્વીકાર્ય જ હોવી ઘટે. ચાલતા વ્યવહારોને અખંડિત રાખવા માટે યુક્તિથી સિદ્ધ એવો શાશ્વત આત્મા માનવો જોઈએ. સંભવિત કારણો કે ઉપાયો જ્યાં કારગત ન થતાં હોય ત્યાં જ છેવટે સ્વભાવનું શરણ સ્વીકારવું ઘટે છે. ભૂતોને જ માનવાં, ભૂતોથી ભિન્ન એવા આત્મદ્રવ્યને તથા પૂર્વજન્મ-પુનર્જન્મ આદિને ન માનવાં એ યોગ્ય નથી. મૂળ આત્મતત્ત્વને જ ન માનવું અને તેથી ભવાંતર આદિને પણ ન માનવાં એ ઉચિત નથી. આ તત્ત્વો ન માનવાથી સંસારમાં ઘણી મોટી અવ્યવસ્થા ઊભી થશે, માટે ભૂતોથી ભિન્ન એવા આત્મતત્ત્વ તથા તેના પૂર્વજન્મ આદિનો સ્વીકાર કરવો ઘટે છે. નિત્ય આત્મતત્ત્વનો, તેના પૂર્વભવના સંસ્કારનો સ્વીકાર કરતાં જીવોમાં જોવા મળતી પ્રકૃતિઓની ન્યૂનાધિકતાનો ખુલાસો મળી જાય છે. વળી, ક્રોધાદિ પ્રકૃતિની ન્યૂનાધિકતા વિષે કોઈ એમ કહે છે કે ગર્ભમાં પુરુષસ્ત્રીના વીર્ય-રજના ગુણના યોગથી તે તે પ્રકારની વિવિધતા ઉત્પન્ન થાય છે. પ્રકૃતિની વિવિધતા વારસાગત (hereditary) ગુણો દ્વારા ઉત્પન્ન થાય છે. માતા-પિતાના જેવા ગુણો હોય છે તેવા ગુણો સંતાનને વારસામાં મળે છે, તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી. પૂર્વજન્મના સંસ્કાર વગેરે માનવું મિથ્યા છે. આમ કહેવું પણ યથાર્થ નથી, કારણ કે ઘણી વાર જગતમાં એવું જોવા મળે છે કે એક માતા-પિતાનાં સમાન વીર્ય-રજથી ઉત્પન્ન થયેલા એવા બે જોડિયા બાળકોમાં પ્રજ્ઞાદિ એકસરખાં હોતાં નથી, કિંતુ ઘણી વાર તરતમતામાં વિશેષ ફરક જોવા મળે છે. બન્નેનો ઉછેર, કેળવણી અને સંયોગો સરખાં હોવા છતાં એક હોંશિયાર તો એક ઠોઠ ઇત્યાદિ જુદું જુદું વ્યક્તિત્વ સ્પષ્ટપણે જોવા મળે છે. માતાના ઉદરમાં એકસાથે પોષાઈને જન્મેલાં બે જોડિયા બાળકોનાં સ્વભાવ, રુચિ, લાગણીમાં આવો ફરક શા માટે? બન્ને આત્માના પૂર્વસંસ્કાર જુદા છે માટે. જોડકાં તરીકે જન્મેલાં બાળકોના પૂર્વજન્મના સંસ્કારોમાં ભેદ હોવાથી તેમના સ્વભાવ આદિમાં ભેદ જોવા મળે છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે જે માતા-પિતા કામને વિષે વિશેષ આસક્તિવાળાં હોય છે, તેમના પુત્રો બાળપણથી જ વીતરાગી હોય છે. માતા-પિતા અતિ ભોગી હોય, પરંતુ તેમનાં સંતાનો વૈરાગી હોય છે. વળી, માતા-પિતામાં ક્રોધનું વિશેષપણું હોવા છતાં તેમનાં સંતાનોમાં સમતાનું વિશેષપણું જોવા મળે છે. માતાપિતા કપટી હોય છે અને તેમનાં સંતાનો સરળ હોય છે. માતા-પિતા કૃપણ હોય છે પણ સંતાનો કૃપણ નથી હોતાં. માતા-પિતામાં લોભ, અહંકાર વગેરે દુર્ગુણો હોય છે, જ્યારે સંતાનોમાં તેથી ઊલટા નિઃસ્પૃહતા, નમતા વગેરે ગુણો દેખાય છે. તેવી રીતે માતા-પિતા સદ્ગુણી હોવા છતાં તેમનાં સંતાનોમાં દુર્ગુણો જોવા મળે છે. બહાદુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy