SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનું પરલોકગમન, આત્માની મુક્તિ, ધર્મ-અધર્મ કશાને સ્વીકારતું નથી. તેના મત પ્રમાણે પરલોકમાં જનાર કોઈ આત્મા નથી, માટે સ્વર્ગ-નરકની આવશ્યકતા નથી. કોઈ ધર્મક્રિયા ફળદાયી થતી નથી. મોક્ષ માટે પ્રયત્ન કરવો વ્યર્થ છે. ચાર્વાકમત સર્વ પ્રકારની આધ્યાત્મિક સાધનાનો અસ્વીકાર કરે છે. તેણે ભૌતિક સુખોની પ્રાપ્તિને જ પ્રાધાન્ય આપેલ છે. ચાર્વાકમત અનુસાર ભૌતિક સુખ પ્રાપ્ત કરવું એ જ જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. ચાર્વાક દર્શન ધર્મને માનવજીવનનું પરમ લક્ષ્ય માનતું નથી. તેને વેદનું પ્રામાણ્ય સ્વીકાર્ય નથી. ચાર્વાકમત અનુસાર વેદોની રચના પાખંડી લોકોએ કરેલી છે. લોકોને છેતરવા માટે તેમણે શાસ્ત્રો બનાવેલાં છે. શાસ્ત્રોપદેશ લોકોને ઠગવા માટે જ છે. સ્વર્ગ-નરક ઇત્યાદિ વાતો પંડિતોનાં ઠગારાં વચનો છે. તેમનો આશય તો ધર્મક્રિયાઓ બતાવી, તે દ્વારા લોકો પાસેથી ધન મેળવી પોતાનું પેટ ભરવાનો છે. ધર્મ-કર્મ તો બધું પેટભરું પુરોહિતોએ ઊભું કરેલું તરકટ છે. સુવર્ણદાન, મિષ્ટાન્ન ભોજન, હોમ-હવન આદિ માત્ર ઉદરનિર્વાહાથે ઊભી કરેલી ક્રિયાઓ છે. પંડિતોએ એ ક્રિયાઓ પોતાની જીવિકાને માટે બનાવી રાખી છે. દાનાદિ સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. તેના વડે કોઈ અર્થ સરતો નથી. વેદાંતમતનું ખંડન કરતાં તે કહે છે કે શ્રાદ્ધપ્રસંગે મૃતાત્માઓને પિંડદાન વગેરે કરવાની જરૂર નથી. જો મરી ગયેલા પિતૃઓનું શ્રાદ્ધ તેમને સ્વર્ગમાં તૃપ્ત કરતું હોય તો બુઝાઈ ગયેલા દીવાની શીખા પણ તેલ પૂરવાથી વધવી જોઈએ. જો મર્યલોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેનારા જીવોને તૃપ્તિ થતી હોય તો નીચે દાન કરવાથી ઘરની અગાશી ઉપર બેઠેલા માણસને તૃપ્તિ કેમ થતી નથી? દેહમાંથી વિનિર્ગત થયેલા જીવને જો શ્રાદ્ધ તૃપ્તિકારક હોય તો પરદેશમાં જનાર માણસે નિર્વાહને માટે અન્ન-વસ્ત્રાદિ પોતાની સાથે લેવા વ્યર્થ છે, કારણ કે જેમ દેહવિનિર્ગત જીવના નામથી અર્પણ કરેલો પદાર્થ તેને મળે છે. તેમ પરદેશમાં ગયે માણસના નામથી અન્ન-વસ્ત્રાદિ અર્પણ કરી, તેને તે પરદેશમાં પહોંચાડી શકાય. પરંતુ જેમ પરદેશ ગયેલાને એ પહોંચી શકતું નથી, તેમ શરીરમાંથી નીકળેલા જીવને પણ એ સર્વ પહોંચી શકે નહીં. આમ, ચાર્વાકમતવાદીઓ કોઈ પણ પ્રકારની વેદોક્ત ધર્મક્રિયાનો સ્વીકાર કરતા નથી. ચાર્વાક દર્શને મોક્ષના ખ્યાલનું પણ ખંડન કર્યું છે. તેના મત પ્રમાણે શરીરવિચ્છેદ તે જ મોક્ષ છે. એનાથી અતિરિક્ત મોક્ષ જેવું બીજું કંઈ નથી. શરીરનો નાશ થવો તેનું જ નામ મોક્ષ છે, શ્વાસ ચાલતો બંધ થાય એટલે મરણ નીપજે અને મરણ તે જ મોક્ષ; તેથી પુણ્યકર્મ દ્વારા શરીરથી છુટકારો મેળવવાનો સવાલ જ રહેતો નથી. માટે મોક્ષ એ જીવનનું પરમ સાધ્ય નથી એવો ચાર્વાકમત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy