SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપાધિ અને જન્મ-જરા-મરણનાં વિવિધ દુ:ખોને પામીને અત્યંત ખેદખિન્ન રહ્યા કરે છે. પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા અણગમતા પદાર્થથી તે દુ:ખી થાય છે અને પોતાને સુખરૂપ લાગતા હોય તેવા પ્રસંગો કે પદાર્થોનો વિયોગ થવાથી તેને અંતરમાં આકુળતા રહે છે. ચૈતન્યની ઓળખાણ વિના ક્લેશ અને દુઃખ ટળતાં નથી અને તે ટળ્યા વિના સાચું સુખ કદી પણ પાપ્ત થતું નથી. આમ, જીવની વ્યાધિ એક જ છે આત્મસ્વરૂપનું અજ્ઞાન અને તે વ્યાધિની ઔષધિ પણ એક જ છે આત્મજ્ઞાન. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. આત્માર્થી જીવ આ તથ્યને યથાર્થ સ્વરૂપે સમજતો હોવાથી તેના અંતરમાં આત્માના અપરોક્ષાનુભવની ઉત્કટ અભીપ્સા જાગે છે. આત્મજ્ઞાન પામવાનું જ તેને એકમાત્ર ધ્યેય હોય છે. અહીં આત્મજ્ઞાન એટલે આત્મા સંબંધી માત્ર બૌદ્ધિક જાણકારી નહીં પણ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન. આત્માર્થી જીવને સમજાય છે કે આત્માના પ્રત્યક્ષ અનુભવરૂપ કાર્યની સિદ્ધિ કોઈ સત્પુરુષના સહારા વગર થવી કઠણ છે. સત્પુરુષ તે જ કે જે આત્મજ્ઞાની છે, માર્ગને પામેલા છે અને માર્ગના મર્મથી સુવિદિત છે; તેઓ જ આ માર્ગ પમાડી શકે એવી તેના હૃદયમાં ખાતરી થાય છે અને તેથી તેવા સુયોગને તે આતુરતાપૂર્વક ઝંખે છે. શ્રીમદે પ્રકાશ્યું છે ‘પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય.' આત્મસિદ્ધિ થવા માટે પ્રથમ જ્ઞાનમય વિચાર કર્તવ્ય છે, અર્થાત્ સદ્બોધ દ્વારા સદ્વિચારદશા આવવી જરૂરી છે. સદ્બોધ અને સદ્વિચારદશા આવવા માટે જેમને આત્માનો અનુભવ થયો છે, જેમને પ્રગટ આત્મદર્શન થયું છે એવા જ્ઞાની ગુરુની શ્રદ્ધા થવી જરૂરી છે. એવા જ્ઞાની ગુરુના સમાગમથી, એમની સેવાથી, એમની આજ્ઞાના આરાધનથી વિચારદશા અને જ્ઞાનદશા પ્રગટાવનાર એવો સદ્બોધ તેના અંતરમાં પ્રકાશી ઊઠતાં તેને આત્માનો અનુભવ થાય છે. ત્યારે પ્રશ્ન થાય કે અનુભવી ગુરુ કોને કહેવા? જેમનામાંથી ક્ષણે ક્ષણે થતી વૃત્તિની અસ્થિરતા ગઈ છે, તેમજ જેમનામાંથી મિથ્યાત્વાદિ વિભાવરૂપ મોહનો ક્ષય થયો છે, જેમને નિશદિન આત્માનો ઉપયોગ વર્તે છે, તેવી આત્માનુભવી વ્યક્તિ ગુરુ ગણાવા યોગ્ય છે. આવા સદ્ગુરુના આશ્રય વિના જીવને માર્ગની પ્રાપ્તિ થવી અત્યંત દુષ્કર છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૬ (આંક-૭૯, કડી ૩,૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy