SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અતીન્દ્રિય સુખ પ્રગટે જ છે. નિજ સહજાનંદસ્વરૂપની પરમાર્થપ્રતીતિ એ જ નિરાકુળ, અવિનાશી, અવ્યાબાધ સુખરૂપ મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે. પરમાં સુખબુદ્ધિની કલ્પના છોડી, નિજ શુદ્ધ ચિદાનંદ પૂર્ણ સ્વભાવમાં સ્થિરતા કરતાં અનુપમ સહજાત્મસ્વરૂપ મોક્ષદશા પ્રગટે છે. તેથી જીવે પોતાના અનંતગુણસામર્થ્યવંત જ્ઞાનાનંદી તત્ત્વની જ રુચિ, એનું જ માહાભ્ય, એનો જ પરિચય અને એમાં જ રમણતા કરવી ઘટે છે. ૧ પરંતુ આનંદસ્વભાવી આત્માને ભૂલી જઈ તેણે ખૂબ ઊંધાઈ કરી છે. સ્વરૂપથી અજાણ એવા જીવને વાસ્તવિક સુખ ક્યાં છે અને શેમાં છે તથા તે કેવી રીતે પ્રગટે તેની સમજ નહીં હોવાથી તે અનાદિ કાળથી પરમાં સુખ શોધે છે. પોતાના શુદ્ધ સહજ સચ્ચિદાનંદસ્વભાવનો પરિચય કરવાનું છોડી એ ઇષ્ટ સંયોગ મેળવવામાં તથા જાળવવામાં અને અનિષ્ટ સંયોગને દૂર કરવામાં તથા ટાળવામાં જ પોતાનો સમય, જ્ઞાન અને વીર્ય વેડફી નાખે છે. નિજ શુદ્ધ પરિણતિનો કર્તા-ભોક્તા થવાનું વિચારી દઈ તે પરનો કર્તા-ભોક્તા થવા જાય છે, જે ત્રણે કાળમાં અશક્ય જ છે. ઇન્દ્રિય દ્વારા સુખ તથા જ્ઞાન પ્રાપ્ત કરવાના અભિપ્રાયમાં અને ઉદ્યમમાં પોતાનું અતીન્દ્રિય, અવ્યાબાધ સુખ તથા સહજ, અનંત જ્ઞાનને તે ખોઈ બેઠો છે. ક્ષણભંગુર તુચ્છ ભોગોનું મહત્ત્વ વધારી દઈ તેણે અવિનાશી આત્મપદનું ઐશ્વર્ય આવરિત કરી દીધું છે. વિનાશી વિષયો પાછળની દોડમાં સ્વરૂપનું લક્ષ ગુમાવી દીધું છે. પોતાના સ્વતંત્ર વાસ્તવિક જ્ઞાયકસ્વરૂપનું તેને કદાપિ ભાન જ થયું નથી - એ વિડંબના મોહના પડળ આડે તેને સમજાતી જ નથી. મહાન સદ્ભાગ્યના ઉદયે જ્યારે મોહનું આ પડળ પાતળું પડે છે ત્યારે મહદંશે પોતાના તથા અન્યનાં દુઃખની, દારુણતાની કે અસહાય સ્થિતિની વિચારણા કરતાં અને ક્વચિત્ પ્રત્યક્ષ સત્સમાગમના પ્રભાવથી અથવા પૂર્વે કરેલી આરાધનાના બળથી તેને વૈરાગ્ય પ્રગટે છે. પોતે માની લીધેલ સુખદ સાનુકૂળ સાંસારિક પરિસ્થિતિઓની પોકળતા તેને વિશેષ વિશેષ સમજાવા માંડે છે, દુઃખદ પ્રતિકૂળતાના તુચ્છ વિકલ્પ ઓગળવા લાગે છે. તેને આશ્ચર્યસહ આઘાત લાગે છે કે “મારાં સુખ અને દુ:ખનો પાયો મેં કેવી અસ્થિર માન્યતાઓમાં ખોડ્યો હતો!' તે વિચારે છે કે આ સંસારની બધી અવસ્થાઓ ક્ષણભંગુર છે. સંસારમાં ભમતાં ભમતાં ફરી ફરીને મોટી વિભૂતિ સહિત રાજા પણ થયો અને ફરી ફરીને કીડો પણ થયો. તરંગરૂપ એવા આ સંસારમાં કોઈનું સુખ કે દુઃખ સ્થિર રહેતાં નથી, તો પછી તેમાં હર્ષ કે શોક શા માટે કરવો? સંસારનાં ઇન્દ્રિયસુખો મેં ફરી ફરી ભોગવ્યાં, પણ તેનાથી તૃપ્તિ ન થઈ. એવા વિષયોથી બસ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૧૨ 'मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदब्बेसु ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy