SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ • જૈન ધર્મ અને દર્શન અહિંસા કે અમારિનાં બે રૂપો છે: (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કોઈને પોતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તો પોતાની સુખસગવડનો લાભ બીજાને આપવો એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તો સેવા તરીકે જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બંને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લોકગમ્ય કહીએ તો અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતો હોય તે તેની સુવાસ અનુભવે છે. તેનો ફાયદો તો અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણી વાર એ ફાયદો ઉઠાવનાર સુધ્ધાંને એ ફાયદાના કારણરૂપ અહિંસાતત્ત્વનો ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડવામાં ઘણી વાર ઘણો લાંબો વખત પસાર થઈ જાય છે. જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં ઘણીવાર તેનો લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આવે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જતો જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમજ દયા બંનેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતો હોય, નબળાના હક્કો વધારે કચરાતા હોય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલો જ વધારે દુ:ખી અને ગુલામ. તેથી ઊલટું, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગનો બીજા વર્ગ ઉપર કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ ઉપર જેટલો ત્રાસ ઓછો અથવા બીજા નબળાના હક્કોની જેટલી વધારે રક્ષા તેટલો જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલો વધારે સુખસગવડનો ભોગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હોય, તેટલો તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજટલું વધારે સ્વાર્થીપણું તેટતેટલો તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજ અને રાષ્ટ્રોના ઇતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બંને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તત્ત્વો છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્ત્વો પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy