SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૨૦૩ ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જો કોઈની દોરવણી કરવાની હોય તો પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીનો સમય એ જ સાધનાનો સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લોકોથી અલગપણું, કોઈપણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમો – એ બધું યોજાયેલું હતું. જેમ કોઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઊંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગાંસંબંધીઓના ત્યાગની અને બીજી કેટલીક સગવડોની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જૈન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં છોકરાઓ અને કન્યાઓ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પોતાના જીવનની ઊંડી વિચારણા કર્યા વિના કે પાકી સ્થિરતા આયા વિના જ મોટે ભાગે સાધુવર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણામ સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તો નુકસાન જ થયું છે. જે સગવડો અને જે નિવૃત્તિનાં વિધાનો જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઊડી જતાં કે ખસી જતાં અથવા તો અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડો અને એ નિવૃત્તિનાં સાધનો તો જેમ ને તેમ સાધુસંસ્થા માટે ઊભાં રહ્યાં; ઊલટું ઘણી વાર તો એ સગવડો અને એ નિવૃત્તિનાં વિધાનોમાં વધારો પણ થયો, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાં તો તદ્દન બાજુએ જ રહી ગયું અથવા તો તદ્દન ગૌણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન સાધુસંઘના ઇતિહાસમાં ગૃહસ્થો કે રાજાઓને શોભે તેવાં સાધનો, સગવડો અને ભપકાઓ સાધુઓની આસપાસ વીંટળાયેલા જોઈએ છીએ. મૂળમાં તો રાજાઓને ખજાનો એટલા માટે સોંપાયેલો કે તેઓ પોતાના ક્ષત્રિયોચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપાયેલું કે તેઓ તેને પોતાના તેજથી કાબૂમાં રાખે અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરનો ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જો રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત અને બળસંપન્ન રહે તો આફત વખતે વધારે કામ આપે, એટલા માટે યઢતડકાથી બચાવવા છત્રચામરની યોજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં અને કોઈ પૂછનાર ન રહ્યું ત્યારે એ રાજાઓ લશ્કર, ખજાનો, છત્રચામર વગેરેને પોતાનું જ માનવા લાગ્યા અને પોતાના અંગત સાધન તરીકે એનો ઉપયોગ કરવા માંડ્યા. એટલું જ નહિ, પણ પોતાની આડે કોઈ આવે તો એ સાધનનો ઉપયોગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા. પોતાનું પ્રજાપાલનનું ધ્યેય તો બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સોંપવામાં આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy