SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ • જૈન ધર્મ અને દર્શન આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એક વારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના ખંભે અને પીઠે ભંડારો લટકતા, તે બીજાં કારણો ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયોની જ્ઞાન વિશેની હરીફાઈઓ – આ બે કારણોને લીધે પહેલાંની એક વારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હોવો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જેન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકોમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયોનું જ્ઞાન સંઘરાતું ગયું. સંઘના ભંડારો, સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારો – એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા! એની સાથે જ મોટો લેખકવર્ગ ઊભો થયો, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસીવર્ગ પણ ભારે વધ્યો. છાપવાની કળા અહીં આવી ન હતી. ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલો થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેંચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાન સંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઊધઈ અને ઉંદરો તેમજ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિબો જ નહિ, પણ ધમધ યવનો સુધ્ધાંએ આ ભંડારો ઉપર પોતાનો નાશકારક પંજો ફેરવ્યો, હજારો ગ્રંથો તદ્દન નાશ પામ્યા, હજારો ખવાઈ ગયા, હજારો રક્ષકોની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમજ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના કોડીબંધ શોધકો અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વષ ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કોડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારો પૂરતો ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરો પાડશે. ભંડારો જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલયો, લાઇબ્રેરીઓ, જ્ઞાનમંદિરો અને સરસ્વતીમંદિરોનાં નામ તેઓએ ધારણ કર્યા છે, અને કલમને બદલે બીબાંમાંથી લખાઈ નવે આકારે પુસ્તકો બહાર પડતાં જાય છે. ભંડારોની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયોમાં કાયમ છે; એટલું જ નહિ, પણ જમાનાના જ્ઞાનપ્રચાર સાથે તે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયો જૂના જૈન ગ્રંથો ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સંપ્રદાયોના સાહિત્યથી ઊભરાતાં ચાલ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy