SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ દીવાનો વિસ્તરતો ઉજાશ વિશાળ વ્યાપ ધરાવતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન શ્રમણોના યોગદાનને એના સાચા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનું પુણ્યકાર્ય શ્રી મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓ'ના સંપાદન દ્વારા કર્યું છે. તેમણે તો એક વિદ્યાકાર્યનો અખંડ મહાયજ્ઞ જ માંડ્યો. જીવનને તે સત્કાર્યથી જ ઉજાળ્યું અને અમર બનાવ્યું. તેઓને જાણે પોતાનું જીવનકાર્ય જડી ગયું, અને તેને સંપૂર્ણ સમર્પિત થઈને તેઓએ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના ઇતિહાસનો ખંડ દીવો પ્રગટાવ્યો. થોડા કાળમાં તેની શગ સંકોરવાની અને તેમાં ઘી પૂરવાની જરૂર પડી. તો શ્રી જયંતભાઈએ એ પુણ્યકાર્ય એમની આગવી કુશળતાથી એવી રીતે કર્યું કે દીવાની જ્યોત વધુ પ્રકાશમાન થઈ અને અજવાળું દૂર સુધી ફેલાવ્યું. ઉજાશ એવો તો પથરાયો કે તેમાં રહેલી ઝીણામાં ઝીણી વસ્તુ-વીગતો હસ્તામલકવતુ સ્પષ્ટ દેખાવા લાગી. જેમ કુશળ તંતુવાય બીજાના વસ્ત્રને એવી રીતે તૂણે કે જોનારને અસલ પોતમાં ઉમેરો ક્યાં થયો તે ન દેખાય તે રીતે જયંતભાઈએ મોહનભાઈની મૂળ સામગ્રીને સંમાજિત કરી આપી. જયંતભાઈને પણ પોતાના ઉત્તર જીવનને શણગારવાનું એક વિશેષ કાર્ય મળી ગયું, અને જીવલેણ માંદગીના બિછાનેથી આવા કામ કરવા માટે જે તેઓ જાણે બેઠા થયા. “જન ગૂર્જર કવિઓના જૂના ત્રણ ભાગ (ને ચાર ગ્રંથ) જોયા પછી નવા દશ ભાગને જોઈએ ત્યારે લાગે કે જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર છે. મોહનભાઈએ અહીં આવું શા માટે લખ્યું છે/હશે, આ વાત આ રીતે કેમ મૂકી છે, તે બધું જાણે કે જયંતભાઈએ પરકાયપ્રવેશની વિદ્યા સાધીને જાયું હોય એમ લાગે. મોહનભાઈનો આત્મા જ્યાં હશે ત્યાં, આ કામથી પ્રસન્ન થઈને શુભાશિષ વરસાવશે. પિતૃતર્પણનો આથી વધુ સારો પ્રકાર બીજો કયો હોઈ શકે ? જ્યારે તમે એક કામમાં સંપૂર્ણ તન્મય અને તદાકાર થાઓ છો ત્યારે તે કામ તમારી પાસે હૈયું ખોલીને વાત કરે છે. તમને તે કામથી આગળઆગળના કામની સૂઝ પણ પડતી જાય છે. વચ્ચેવચ્ચે તમારા કામનો તમને અંદરથી હોંકારોય મળતો રહે છે. ક્યારેક તો કોઈક કામ સુંદર રીતે પાર ઊતરે ત્યારે અંદરથી શાબાશી પણ સંભળાતી હોય છે. આવું બને તો જ માણસ આવા નીરસ લાગતા, માથાકૂટવાળા કામમાં વર્ષો વિતાવે અને છતાંયે રળિયાત બને, એવું આ કામ જોતાં લાગે છે. સંશોધનના કામમાં જયંતભાઈની સચ્ચાઈ, પ્રામાણિકતા, નિષ્ઠા – આ બધાં માટે તો એમના શત્રુ પણ કાન પકડે. નર્મદની જેમ જયંતભાઈ પણ કહી શકે તેમ છે : “વીર સત્ય ને નેક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.” આવાં કામોને શકવર્તી કામ કહેવાય. તેને કાળનો કાટ લાગતો નથી. તેમાં હજુ ઉમેરવાનું અન્ય કોઈના હાથે બનશે પરંતુ તેને કોરાણે મૂકવાનું નહીં બને. જેને મધ્યકાલીન સાહિત્યમાં કશુંય જોવું હશે, નોંધવું હશે, કામ કરવું હશે તેને આના વિના નહીં જ ચાલે તેવું આ કામ બન્યું છે. આવાં ઘણાં કામો આદર્યા અધૂરાં રહે છે પણ આ તો આદરીને તેને પરિપૂર્ણ કર્યું છે, કહો કે એક તપ પૂર્ણ થયું. આમેય દશ ભાગમાં દશ વર્ષથી વધુ સમય વીત્યો છે. બાર વર્ષને તપ કહેવાય. આનો ઓચ્છવ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy