________________
१५
રક્ત-સંચાર. તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું તેમનું વાંચન વિશાળ હતું. અને તેમની કલ્પનામાં એક ચિત્ર સતત રમતું હતું કે જૈન પ્રાચીન સાહિત્યનું સંશોધન કરી કરાવીને તે ગ્રંથોનું કલાત્મક પ્રકાશન કરાવવું. જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા તેમણે પોતાની કલ્પનાને સાકાર કરવા વ્યવસાયમાંથી ફાજલ પડતા સમયમાં જ્ઞાનયજ્ઞ પ્રજ્વલિત કર્યો. અને ૧૯૬૪માં તો વ્યવસાયમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી આ જ્ઞાનયજ્ઞને અખંડ અને સતત ઝળહળતો રાખ્યો.
૧૯૪૮માં સંસ્થાની સ્થાપના કરી ત્યારે તો અમૃતલાલભાઈ વ્યવસાયની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, છતાંય સ્વ-સંસ્થાપિત સંસ્થાના વિકાસ માટે સક્રિય રસ લીધો. સૌ પ્રથમ તેમણે આ સંસ્થાના ઉપક્રમે “પંચ પ્રતિક્રમણ સૂત્ર” અંગે વિશદ સંશોધન કાર્ય ઉપાડ્યું. આવશ્યક ક્રિયાના આ ઉપયોગી ગ્રંથને પરિપૂર્ણ અને સાંગોપાંગ બનાવવા માટે સંખ્યાબંધ શાસ્ત્રગ્રંથો વસાવ્યા. દસેક જેટલા જ્ઞાનભંડારોની મુલાકાત લીધી. પૂજ્ય શ્રમણ ભગવંતો ખાસ કરીને પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાથે તેમજ વિદ્વાનો અને પંડિતો સાથે સુ-દીર્ઘ પત્રવ્યવહાર કર્યો. આ અંગે જરૂરી ખર્ચ કશાય સંકોચ વગર કર્યો. એટલું જ નહિ પ્રસ્તુત પુસ્તકનું સંશોધન જેમ જેમ આગળ વધતું ગયું તેમ-તેમ તેને જોયું, તપાસ્યું. ફરી-ફરીને તપાસ્યું અને પૂજય વિદ્વાન શ્રમણોની માન્યતા મેળવીને તેને જાહેરમાં મૂક્યું.
મંડળનો આ પ્રથમ ગ્રંથ એટલે શ્રી પ્રતિક્રમણસૂત્ર પ્રબોધટીકા લગભગ બે હજાર પાનામાં ત્રણ ભાગમાં પ્રકટ થયેલ આ ગ્રંથ પહેલી જ નજરે સર્વત્ર લોકાદર પામ્યો. આજે તો આ “પ્રબોધ-ટીકા' ધાર્મિક શિક્ષકો તેમજ પ્રતિક્રમણ સૂત્રના અભ્યાસીઓ માટે આધાર ગ્રંથ બની ચૂકી છે.
યોગાનુયોગ પણ કેવો !!! અમૃતલાલભાઈએ સૌ પ્રથમ સંશોધન અને પ્રકાશન “પંચપ્રતિક્રમણ સૂત્ર' પર કર્યું-કરાવ્યું અને તેમના હસ્તકનું છેલ્લું સંશોધિત પ્રકાશન પણ આ જ સૂત્ર પર થયું. આ પ્રકાશન તે “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર” પ્રબોધ ટીકાની ત્રીજી આવૃત્તિ. તેમાં પ્રથમની બે આવૃત્તિ કરતાં અનેકવિધ મનનીય સંશોધન આમેજ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org