________________
K.1 શ્રીમદ રાજચંદ્ર
Compodium of Jainism - Part (II)
K.1.1 પરિચય
શ્રીમદ રાજચંદ્ર મહાન દ્રષ્ટા અને આધુનિક યુગના એક સુપ્રસિદ્ધ સંત હતા. તેઓએ જૈન તત્વજ્ઞાન તથા સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ મહાન તત્વવેત્તા, કવિ, સમાજસુધારક, વિચારક અને આત્મસાક્ષાત્કાર કરનાર સંત હતા. મહાત્મા ગાંધીજી શ્રીમદના આધ્યાત્મિક જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. શ્રીમદનું લખાણ તેમના આત્મ અનુભવનો સાર હતો. અત્યારે પણ આધ્યાત્મિક જાગૃતિ અને આત્મસાક્ષાત્કારની શોધમાં ઘણા જૈન અને હિન્દુ સાધકો તેમના ઉપદેશને અનુસરે છે.
K.1.2 જન્મ અને બાળપણ
શ્રીમદ રાજચંદ્રનો જન્મ નવેમ્બર ૧૦, ૧૮૬૭ એટલે કે વિક્રમ સવંત ૧૯૨૪ના કારતક મહિનાની પવિત્ર પૂનમ (દેવ- દિવાળી) ને દિવસે ગુજરાતમાં આવેલા મોરબી જિલ્લાના વવાણીયા ગામમાં થયો હતો. તેમના પિતા રવાભાઈ અને માતા દેવબા હતું. જન્મનું તેમનું નામ લક્ષ્મીનંદન હતુ પણ ચાર વર્ષ પછી તેમનું નામ બદલીને રાજચંદ રાખ્યું. પાછળથી તેઓ રાજચંદ્રના નામથી જાણીતા બન્યા.
રાજચંદ્રના પિતા તથા દાદા વૈષ્ણવ(હિન્દુ) ધર્મ પાળતા હતા. તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તેમના માતા દેવબા જૈન કુટુંબના હતા. આમ બાળક રાજચંદ્ર જૈન અને હિંદુ એમ બેવડા સંસ્કારથી મોટા થયા.
બાળવયમાં રાજચંદ્રને જાત જાતનાં પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. એક વખત તેમણે જૈન પ્રતિક્રમણ સૂત્ર વાંચ્યું. તેમાં વર્ણવવામાં આવેલી પ્રાણી માત્ર પ્રત્યે કરુણાની ભાવના તથા રોજની પ્રતિક્રમણની ક્રિયા દરમ્યાન તેમજ પર્યુષણ દરમ્યાન ખરા હૃદયની ક્ષમાની ભાવનાની વાતો તેમને બહુ અસર કરી ગઈ. જૈન ધર્મ આત્મજ્ઞાન, સંયમ, પરમ શાંતિ, ત્યાગ કરવો, દુનિયાના સુખથી દૂર રહેવું તથા ધ્યાન કરવું એવી ક્રિયા ઉપર ભાર મૂકે છે. તેથી તેમની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધી ગઈ. સંપૂર્ણ સત્યની શોધમાં જૈન ધર્મનું તત્વ જ્ઞાન તથા સંસ્કાર જ અંતિમ સત્ય તથા પરમ શાંતિ અપાવશે તે શ્રીમદને સમજાઈ ગયું.
સાત વર્ષની ઉંમરે એવો બનાવ બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એક પ્રૌઢ અંગત પરિચયવાળા ભાઈ શ્રી અમીચંદભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યા. બાળક રાજચંદ્રએ પોતાના દાદાને પૂછ્યું, “મરી જવું એટલે શું?” તેના વહાલાદાદા એ સમજાવ્યું, “તેમનો આત્મા તેમનું શરીર છોડી ચાલ્યો ગયો. હવે તે ખાઈ શકે નહીં કે હાલી ચાલી પણ ન શકે. તેમના શરીરને ગામ બહાર લઈ જઈને બાળી મુકવામાં આવશે.” રાજચંદ્ર ચૂપચાપ સ્મશાને પહોંચ્યા અને મૃત શરીરને બળતું
Page 282 of 307