________________
Compodium of Jainism – Part (II)
જ્યારે તે ફરી ખેલ કરવા દોરડા પર ચડ્યો ત્યારે તેણે ચારે બાજુ નજર દોડાવી. તેણે જોયું કે સામેના મકાનમાં એક સુંદર યુવાન સ્ત્રી યુવાન સાધુને ગોચરીમાં મીઠાઈ વ્હોરાવી રહી છે. આશ્ચર્ય વચ્ચે ઇલાચી કુમારે નોંધ્યું કે તે સાધુ નીચી નજરે ઊભાં છે અને તે સ્ત્રીની સુંદરતા સામે નજર પણ કરતા નથી. તેનાથી પોતાની જાતની સરખામણી થઈ ગઈ. એક સુંદર છોકરી ખાતર તેણે પોતાની આખી જિંદગી બદલી નાખી અને આ સાધુ આવી સુંદર સ્ત્રી સામે હોવા છતાં વિચલિત થતા નથી, જોતા પણ નથી. સાધુનો આત્મસંયમ અને તે સ્ત્રી તરફની ઉપેક્ષા વૃત્તિ તે જોઈ જ રહ્યો. સાધુના મુખ પર પરમ શાંતિ હતી. સાધુની આવી વૃત્તિ ઈલાચી કુમારના મનને સ્પર્શી ગઈ. શા માટે હું આ સુંદર છોકરીની ઉપેક્ષા નથી કરી શકતો? વળી વિચારવા લાગ્યો કે રાજા શા માટે વારંવાર ખેલ કરવાનું કહે છે? ચોક્કસ રાજા આ સુંદર છોકરીથી આકર્ષાયો છે, અને હું દોરડા પરથી પડી જાઉ તેની જ રાહ જુએ છે. હું દોરડા પરથી પડી જાઉં તો ખૂબ જ ઘવાઇ જાઉં અને ફરિવાર આવા ખેલ કરવા શક્તિમાન ન રહ્યું અને એ સંજોગોમાં હું આ સુંદર છોકરીને જેના માટે મેં મારા માતા-પિતા તથા સમાજ અને ધર્મ છોડ્યા તેને પરણી ન શકું. એ સમજી ગયો કે તે જેને સુખ માને છે તે એક ભ્રમણા છે. એને પોતે આચરેલા ધર્મના સિદ્ધાંતો યાદ આવ્યા. શરીરમાં રહેલો આત્મા અને તેની અનંત શક્તિની વાત એ સારી રીતે સમજતો હતો. નટ તરીકેની કુશળતા તેને આંતરિક શક્તિને કારણે જ પ્રાપ્ત થઈ હતી. સાધુ આ બધાથી પર રહી શક્યા કારણ કે તેઓ ખૂબ જ જાગૃત અને સાવધ હતા. નટ તરીકે દોરડા પર ચાલતા મારે ખૂબ સાવચેત રહેવું પડે છે નહીં તો ઉંચે થી પડી જવાય અને કદાચ મૃત્યુ પણ આવે. તો શા માટે આવી જાગૃતિ રાખીને આધ્યાત્મિક વિકાસ માટે પ્રાણ ન આપું? આ ભવ પહેલાની જિંદગીમાં તેણે ઘણો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. તે સંસ્કાર ઊંડે ઊંડે આત્મા સંઘરાયેલા હતા. સાધુએ ઉદીપકનું કામ કર્યું. તે સંપૂર્ણ જાગૃત થઈ ગયા અને આત્માને ઉદ્ધારે તે જ સાચું બાકી બધું ભ્રામક છે એમ સમજાઈ ગયું. દોરડા પર ચાલતા ચાલતા જ તે પોતાના આત્મામાં ઊંડા ઊતરી ગયા અને ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થાંભલા પરથી નીચે ઉતરી સૌની વિદાય લઈને તે સ્થાન છોડી ચાલ્યા ગયા.
બોધ: આ વાર્તા વૈરાગ્યના સિદ્ધાંતને કેન્દ્રિત કરે છે. ભૌતિક ચીજો, માણસો અથવા તેમની પ્રત્યે રાગનું આકર્ષણ જ આપણા માટે કે બીજા માટે દુઃખનું કારણ બને છે. બાહ્ય દુનિયા પ્રત્યેનું આપણું આકર્ષણ ઓછું કરવાના પ્રયત્ન કરવા જોઈએ અને આપણા આત્મા પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું. આત્મ સાક્ષાત્કારના માર્ગમાં મોહમાયા નડતરરૂપ છે. સાધુનો સુંદર સ્ત્રી સામે નજર સુદ્ધા ન કરવી એ ઇલાચી કુમારને સાચા રસ્તે દોરે છે.
Page 217 of 307