________________
Compodium of Jainism – Part (II)
બાહુબલીને સમજાવ્યું કે હાથી પર સવાર થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. તે માટે તો નીચે ઊતરવું પડે. બહેનોનો પરિચિત અવાજ કાને પડતા તેમણે આંખો ખોલી. તે હાથી પર તો બેઠા હતા નહીં. ઘડીવાર તો તેમને બહેનોની વાત સમજાય નહીં પછી તેમને ખ્યાલ આવ્યો કે અભિમાન રૂપી હાથીની આ વાત છે. તરત જ મનમાંથી અભિમાન કાઢી નાખ્યું અને ભગવાન ઋષભદેવ પાસે જઈ ૯૮ નાના ભાઈઓને વંદન કરવાનું વિચાર્યું. હવે અભિમાન ઓગળી ગયું. અને નમ્રતાએ તેનું સ્થાન લીધું. કેવળજ્ઞાનની તરત જ પ્રાપ્તિ થઇ અને તેઓ સર્વજ્ઞ બન્યા. દિગંબર પરંપરા પ્રમાણે આ યુગમાં સંસારથી મુક્તિ મેળવનારા બાહુબલી પ્રથમ હતા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે ઋષભદેવના માતા મરૂદેવી આ યુગના સૌ પ્રથમ સંસારમાંથી મુક્તિ મેળવનાર હતા)
આ બનાવની સ્મૃતિમાં દક્ષિણ ભારતમાં બેંગ્લોર નજીક શ્રવણવેલગોડામાં બાહુબલીની પ૭ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. જેના ઉપર દર ૧૨ વર્ષે મહા અભિષેક કરવા દેશ- પરદેશથી હજારો જૈનો ત્યાં આવે છે. આ શિલ્પ એક જ પથ્થરમાંથી બનાવેલું લગભગ હજાર વર્ષ જૂનું છે. યાત્રીઓ અને મુલાકાતીઓ આ અદભુત મૂર્તિને જોવા આવે છે. ખુલ્લા આકાશ નીચે હોવા છતાં હજુ આ મૂર્તિ અણીશુદ્ધ ઉભી છે.
આ સમય દરમિયાન ભરત વિશ્વના ચક્રવર્તી બન્યા. આ અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી હતી. ભારત તે સમયે ભારતવર્ષ તરીકે જાણીતું બન્યું. ભરત પણ બધી જ રીતે સુખી હતા. તેમણે ઘણો લાંબો સમય રાજ્ય કર્યું.
એકવાર એમના હાથની આંગળી પરથી વીટી નીકળીને નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી શોભતી નહોતી. જીજ્ઞાસા ખાતર તેમણે શોભા આપતા બધા જ આભૂષણ તથા રાજમુગટ કાઢી નાખ્યા. અરીસામાં જોયું તો તે પહેલા જેવા સુંદર નહોતા લાગતા. આથી એમના મગજમાં વિચારની હારમાળા ચાલવા લાગી. “હું મારી જાતને સુંદર અને સશક્ત માનું છું પણ એ શોભા તો આ દાગીનાના પ્રતાપે છે, જે શરીરનો ભાગ નથી અને શરીર પણ કેવળ હાડમાંસનું જ બનેલું છે. તો પછી એ શરીરની આટલી બધી માયા શા માટે? આ શરીર કાયમ રહેવાનું નથી. બધું પાછળ છોડી જ દેવાનું છે. કાયમ રહે એવું તો એક આત્મા જ છે.” એમણે એક મહત્વનો નિર્ણય કર્યો. “આ ક્ષણભંગુર નાશવંત વસ્તુઓનો ત્યાગ કરી પિતાની જેમ શાશ્વત આત્માને કેમ ન આરાધું?” આમ દુનિયાના સુખો પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે એમની વિચારધારા ઉતરોતર શુદ્ધ થતા એમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તે જ સમયે તેમને કેવળજ્ઞાન થયું. દિગંબર પરંપરા પ્રમાણે સંસારનો ત્યાગ કરી સાધુ થયા અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આયુષ્ય પૂરું થતાં મુક્તિ મળી ગઈ.
Page 205 of 307