________________
Compodium of Jainism - Part (II)
G.૩. કેવલી જંબુસ્વામી
ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહી નામે નગરમાં ઋષભદત્ત નામે એક પૈસાદાર શેઠ રહેતા હતા. ઈ.સ.પૂર્વે ૫૨૪માં તેમની પત્ની ધારિણીએ એક ખુબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો જેનું નામ જંબુ રાખવામાં આવ્યું. એ મોટો થઇને ખુબ જ તેજસ્વી બન્યો અને બધાને એ ખુબ જ ગમતો. જયારે તેણે યુવાવયમાં પ્રવેશ કર્યો ત્યારે ઘણા પરિવાર જંબુને પોતાની કન્યાને પરણાવવા ઉત્સુક બન્યા. તે સમયે એકથી વધારે પત્નીઓ રાખવાનું સામાન્ય હતું. જંબુના માતા-પિતાએ તેના માટે ૮ પ્રતિષ્ઠિત ઘરની કન્યાઓને પસંદ કરી. જંબુના બધાની સાથે વિવાહ નક્કી કર્યા. એ બધા માટે ખુશીનો સમય હતો.
એક વખત ભગવાન મહાવીરના ગણધર સુધર્મા સ્વામી રાજગૃહીમાં દેશના આપવા આવ્યા અને જંબુ પણ તે સાંભળવા ગયા. તેમની દેશના સાંભળ્યા બાદ જંબુને દુન્યવી વસ્તુઓ અને સંસાર પ્રત્યે વૈરાગ્યનો ભાવ જાગ્યો. તેમણે સંસાર છોડીને દીક્ષા લેવાનું નક્કી કર્યું. આટલી યુવાન વયમાં દીક્ષા લેવાની તેમની વાત સાંભળીને જંબુના માતા-પિતાને ખુબ જ આઘાત લાગ્યો. જે ૮ કન્યાઓના વિવાહ તેમની સાથે નક્કી થયા હતા, તેમના માતા-પિતાને પણ આ વાત સાંભળીને ચિંતા થઇ. તેમને થયું કે જંબુ સાથે વિવાહ થઇ ગયા હોવાથી હવે બીજું કોઈ તેમની કન્યા સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય.
એ બધાએ જંબુસ્વામીને સાધુ બનવાના વિચારો છોડી દેવા સમજાવ્યું અને કીધું કે સાધુ જીવનના તપ અને આચાર ખુબ કડક છે અને એ તેના માટે ખુબ જ અઘરું થઇ પડશે. તેમણે જંબુને આરામદાયક ગૃહસ્થ જીવન જીવવા સમજાવ્યું અને ભવિષ્યની ૮ પત્નીઓ પ્રત્યે તેમની જવાબદારી સમજાવી. જંબુએ શાંતિથી બધાની વાત સાંભળી પરંતુ પોતાના દીક્ષાના વિચાર પ્રત્યે અણનમ રહ્યા.
છેવટે તેમના માતા-પિતાએ તેમને મનાવવા માટે એક છેલ્લો પ્રયત્ન કર્યો. તેમણે વિચાર્યું કે લગ્નગ્રંથીથી બંધાયા પછી કદાચ જંબુ તેનો વિચાર બદલી નાખશે. એટલે એમણે તેને કહ્યું કે અમે તને દીક્ષા માટે આશીર્વાદ આપીએ એ પહેલા તારે લગ્નગ્રંથિથી જોડાવું પડશે. જંબુ લગ્ન માટે એક શરતે તૈયાર થયો કે લગ્નના બીજા જ દિવસે તે દીક્ષા લઇ લેશે. એમના માતા-પિતાએ એ શરત માન્ય રાખી કેમ કે તેમને થયું કે લગ્ન પછી જંબુ તેની પત્નીઓના પ્રેમમાં પડી જશે અને દીક્ષાનો વિચાર છોડી દેશે.
ખુબ ધામધૂમથી લગ્ન સમારોહ કરવામાં આવ્યો. જંબુના અને આઠેય કન્યાઓના માતા-પિતા એ પોતાની સમૃદ્ધિ દેખાડવા પૂરતા પ્રયત્નો કર્યા. ખુબ મોટા મહેમાનો એ પ્રસંગમાં હાજરી આપી.
Page 182 of 307