Page #1
--------------------------------------------------------------------------
________________ 128 પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો? વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ 6, 1946 ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. અંતર્તાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દ્રઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેનું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?
Page #2
--------------------------------------------------------------------------
________________ “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગે જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. “એ કંઈ ખોટું છે ?" શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો ? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ. ફરી યોગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન. વિ. રાયચંદના યથાયોગ્ય