Page #1
--------------------------------------------------------------------------
________________ 89 સમુચ્ચયવયચર્યા મુંબઈ, કારતક સુદ 15, 1946 સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ 15, રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંતદુઃખનું મૂળ, એ બધાંનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહત વિચારો કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીરભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું તો પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે; તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ શોચ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઇચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુચ્ચયવયચર્યા સંભારી જઉં છું:સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના - કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર - મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવાબેસવાની, બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિનો હેતુ નહોતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ - સરળ વાત્સલ્યતા - મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો;
Page #2
--------------------------------------------------------------------------
________________ સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલે ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથો મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો - નાના - આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં, તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતો; વખતોવખત કથાઓ સાંભળતો; વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનતો, જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે ? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી; ‘પ્રવીણસાગર' નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે તે મને દ્રઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પાનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામના નામાંકિત વિદ્યાર્થી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઇચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા
Page #3
--------------------------------------------------------------------------
________________ ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઈને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.