Book Title: Vachanamrut 0672
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 672 વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી મુંબઈ, ફાગણ સુદ 10, 1952 ૐ સગુરૂપ્રસાદ આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સન્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી ‘સુંદરદાસાદિ’ના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે. કાયા સુધી માયા(એટલે કષાયાદિનો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે, તો પણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે, અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી, કેમકે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં ‘શૂરાતનઅંગ’ કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે, ઇન્દ્રિહુ કતલ કરિ કિયો રજપૂતો હૈ, માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હૂ, ઐસો રન રૂતો હૈ, મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો હૈ, સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ. - શ્રી સુંદરદાસ શૂરાતન અંગ-૨૧-૧૧

Loading...

Page Navigation
1