Book Title: Vachanamrut 0523
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 523 શ્રી મોહમયીપુરીથી મુંબઈ, ભાદરવા સુદ 4, સોમ, 1950 શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગયોગ્ય, પરમસ્નેહી શ્રી સોભાગ તથા ડુંગર પ્રત્યે, શ્રી મોહમયીપુરીથી ....ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે, અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઇચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે, અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી, પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે. બાહ્ય માહામ્યની ઇચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાહ્ય માહામ્ય ઘણું કરી ઇચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાસ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે, અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. ‘કબીર સાહેબનાં બે પદ અને ‘ચારિત્રસાગર'નું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી ‘ચારિત્રસાગર’નાં તેવાં કેટલાંક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષજીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે. અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જોવાની જે તમારી ઇચ્છા છે, તે હાલ તો ઉપશમાવવા યોગ્ય છે. કેમકે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો નથી, છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી.

Loading...

Page Navigation
1