Book Title: Vachanamrut 0286 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 286 હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશ કે નાહીં રે. વવાણિયા, આસો સુદ, 1947 ૐ સત્ ‘હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશકે નાહીં રે.’ પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય, એક પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નોનો ઉત્તર ચાહીને લખી શક્યો નથી. ‘કાળા’ શું ખાય છે ? તેનો ત્રણ પ્રકારે ઉત્તર લખું છું. સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તેનો ઉત્તર એ છે કે, “તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.” વ્યવહારનયથી કાળ ‘જૂનું ખાય છે. નિશ્ચયનયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. “વ્યવહારનયથી કાળ ‘જૂનું ખાય છે” એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે: “કાળ ‘જૂનું ખાય છે” :- “જૂનું એટલે શું ? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઈ, બીજો સમય વર્તે છે, તે ચીજ જૂની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) તે ચીજને ત્રીજે સમયે, ચોથે સમયે એમ સંખ્યાત, અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા સમયમાં તે જેવી હોય, તેવી ત્રીજા સમયમાં ન હોય, એટલે કે બીજા સમયમાં પદાર્થનું જ સ્વરૂપ હતું, તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત જૂનું તે ખાઈ ગયો. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય એમ વ્યવહારનયથી બને નહીં. પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે, માટે જૂનાપણાને તે ખાય છે, તેમ કહ્યું છે. નિશ્ચયનયથી પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે, કોઈ પણ ‘પદાર્થ કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એવો સિદ્ધાંત છે, અને જો પદાર્થ કેવળ નાશ પામતો હોત, તો આજ કંઈ પણ હોત નહીં. માટે કાળ ખાતો નથી, પણ રૂપાંતર કરે છે એમ કહ્યું છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર ‘સર્વને’ સમજવો સુલભ છે. અત્ર પણ દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. આપે કેટલાંક વ્યાવહારિક (જોકે શાસ્ત્ર-સંબંધી) પ્રશ્નો આ વેળા લખ્યાં હતાં, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરું રહેતું નથી, એટલે ઉત્તર શી રીતે લખી શકાય ?Page Navigation
1