Book Title: Vachanamrut 0232
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 232 પરેચ્છાનચારીને શબ્દ-ભેદ નથી. મુંબઈ, ચૈત્ર સુદ 9, શુક્ર, 1947 પરેચ્છાનુસારીને શબ્દ-ભેદ નથી. સુજ્ઞ ભાઈ ત્રિભોવન, કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે, અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ, પશ્ચાત્તાપથી તો, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો; અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને ‘સત’ સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષોને પણ રહેવું વિકટ છે, તો પછી હજુ મુમુક્ષતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. જોકે અમને ઉપાધિયોગ છે તથાપિ અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિષે કંઈ ન થઈ શકે, અને રુચિ પણ હાલ તો તેમ જ રહે છે. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે; અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એવો આ માયાપ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કોઢવધિ યોજનો ચાલ્યા કરે છે, ત્યાં જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય ? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. “ન ચાલતાં’ કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. અત્ર ઈશ્વરાનુગ્રહ છે. વિ. રાયચંદના પ્રણામ.

Loading...

Page Navigation
1