Book Title: Vachanamrut 0068
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 68 અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ - સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન યથાર્થદ્રષ્ટિ થવા - બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું બજાણા-કાઠિયાવાડ, અષાડ સુદ 15, શુક્ર, 1945 અષાડ સુદ 7 નું લખેલું આપનું પત્ર મને વઢવાણકૅમ્પ મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું, એથી પહોંચ લખવામાં વિલંબ થયો. પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. આપે અંતઃકરણીય - આત્મભાવજન્ય - અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સપુરુષો રાખતા આવ્યા છે, તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે, અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે. સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદ્રષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે; એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાંક આધ્યાત્મિક તત્વ ભરેલાં વચનામૃતો હવે લખી શકીશ. ધર્મોપજીવનઇચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ.

Loading...

Page Navigation
1