Book Title: Vachanamrut 0027
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 27 બીજો મહાવીર - સર્વજ્ઞ સમાન મુંબઈ, સં. 1943 મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તોપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇ0 લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. 'સાતમેં મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો. તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો; અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદભુત હોવાથી આવા વિચાર લખતાં હું અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી. ના આપણી છે. હમણાં તો સો બસો ચોતરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદભુત હોય. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તોપણ તેઓને ત્યાગ આપીશ. 1 જુઓ આંક 19,

Loading...

Page Navigation
1