________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષ : ૪ અંક ૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૫]
O
જીવન અને આનંદ ૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩
—લેખક બચ્ચુભાઈ વાડીલાલ શાહ.
જીવન અને આનંદ--તેમાં આનંદ એ મનની એક પ્રકારની સ્થિતિ છે તેનો જીવનની સાથે કેવો અને કેટલો સંબંધ છે? એટલે કે જીવનમાં તેનું શું સ્થાન છે તે વિચારીએ.
For Private And Personal Use Only
આપણે જોઈ શકીએ છીએ કે બાળક કે વૃદ્ધ, કેળવાયેલ કે બિનકેળવાયેલ, સંસ્કારી કે ત્યાગી, દરેકને આનંદની જરૂર છે. આનંદ વગરનું જીવન શુષ્ક અને ભારરૂપ લાગે છે. બાલ્યાવસ્થામાં બાળકો--નિર્દોષ રમતો રમીને આનંદ કરે છે. વિદ્યાર્થી અવસ્થામાં કેટલાક સારામાં સારો અભ્યાસ કરવામાં આનંદ માને છે. જ્યારે કેટલાક તોફાનો તથા કુટેવો પોષવામાં આનંદ માને છે. યુવાવસ્થામાં દરેક પોતાની જુદી જુદી જાતની ઇચ્છાઓ તૃપ્ત કરવામાં આનંદ માને છે. કોઇક પોતાની કીર્તિ અને આબરૂ વધે તેવાં, કોઈક પરોપકારી કાર્યો કરી સંતોષ મેળવવામાં તો કોઈક તુચ્છ કાર્યો કરવામાં આનંદ માને છે. કોઈક ગમે તે ભોગે (ગમે તેવાં દયાહીન કાર્યોથી) પોતાની તિજોરીને છલોછલ ભરવામાં આનંદ માને છે. જ્યારે કોઈક વળી બાપે છલોછલ ભરેલ તિજોરીનું તળિયું શોધવાના પ્રયોગમાં આનંદ માને છે. વૃદ્ધાવસ્થામાં કોઈક યમનિયમ અને તપ-જપ વિગેરે ધાર્મિક કાર્યો કરી નિવૃત્તિમય સરવૈયું સરખું બનાવવામાં આનંદ માને છે. જ્યારે કેટલાક કેવળ બાહ્યાડંબર તરીકે આચારવિચાર વગરના નિષ્પ્રાણ ક્રિયાકાંડો કરી સ્વર્ગનું વિમાન તેમને માટે રીઝર્વ થશે જ એવી આશાઓ બાંધવામાં આનંદ માને છે. કોઈક ત્યાગી વૈરાગી આત્માઓ-મહાત્માઓ સિદ્ધસેનદિવાકર, ઉ.યશોવિજયજી મ., આનંદઘનજી, ચિદાનંદમહારાજ તથા યુગપ્રધાન હીરવિજયસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ને આત્મારામજી મહારાજ તથા યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિશ્વરજી અને મહાત્મા ગાંધી અને જવાહરલાલ પંડિત જેવા પોતાનાં સર્વસ્વનાં ભોગે બીજાની સુખશાંતિ કે આનંદમાં પોતાનો આનંદ માને છે, જ્યારે કેટલાક સર્વના ભોગે પોતાનાં આનંદમાં સર્વનો આનંદ ગણી લે છે. ધારો કે આપણે મુસાફરીએ નીકળ્યા હોઈએ, તેમાં આપણી બધી સુખસગવડતાઓ સચવાય તેમાં આનંદ પડે કે અગવડો અથવા મુશ્કેલીઓમાં આપણાં બુદ્ધિ-બળનો ઉપયોગ કરવામાં ખરો આનંદ પડે? સીધી સપાટ જમીન ઉપર વાહનોમાં મુસાફરી કરવામાં આનંદ પડે, કે પર્વતો ખીણો વગેરે ઠેકાણે પગે ચાલીને મુસાફરી કરવામાં ખરો આનંદ પડે? આ પ્રશ્નોના જવાબો આપણે સમજી શકીએ તેમ છીએ તો પછી આ જીવન પણ એક મુસાફરી નથી? તેમાં આવતી અગવડો સગવડોમાં અગર મુશ્કેલીઓમાં આપણે શા માટે આનંદ ન માણી શકીએ? આનંદ એ કોઈ નક્કર વસ્તુ નથી પરંતુ મનની સ્થિતિ છે. જો આપણે બુદ્ધિપૂર્વક વિચારીએ તો આપણે માની લીધેલી સગવડતાંઓ અને મુશ્કેલીઓ જ આપણને ખરો આનંદ આપે છે, માટે આપણે જીવનમાં મુશ્કેલીભર્યાં કાર્યોને મુશ્કેલ નહિ ગણતા તેમાં બહાદુરીપૂર્વક સફળતા મેળવવામાં જ આનંદ માનવો જોઈએ. આપણે મહાન્ પુરુષોના જીવનચરિત્રોમાં જોઈ શકીએ છીએ કે મહાવીરસ્વામી ભગવાને અનેક સંકટો અને તપ--જપ કરી તેમના જીવનમાં જીવનધ્યેયો પાર પાડવામાં જ આનંદ માનેલો છે. આનંદ નિર્દોષ અને પવિત્ર હોવો જોઈએ. તે સ્વાર્થી ન હોવો જોઈએ. અને આપણો આનંદ ઘણાને આનંદ પમાડનારો હોવો જોઈએ. જીવન (આપણી મુસાફરી) એ એક આનંદ જ છે. જીવનની દરેક પ્રવૃત્તિ આનંદમય માનવી જોઈએ અને આનંદપૂર્વક જ કરવી જોઇએ. મહાત્માઓનાં જીવન આનંદમયમય હોય છે. તેનું કારણ પણ આ જ છે.
[આત્માનંદ પ્રકાશ પુ.૫૩ માંથી