________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
ગાંધી-આકાશગંગાની એક તેજશિખાઃ મીરાંબહેન
શાંતિલાલ ગઢિયા
કેટલીક વિદેશી સન્નારીઓએ ભારતભૂમિને ભરપૂર પ્રેમ કર્યો છે. આ દેશને કર્મભૂમિ બનાવીને એમણે જે સ્વત્વ પ્રગટાવ્યું છે, તે અવિસ્મરણીય છે. તેમનું કાર્યક્ષેત્ર કાં તો રાજકીય, સેવાકીય અથવા આધ્યાત્મિક રહ્યું છે. આ વંદનીય નારીવૃંદમાં ભગિની નિવેદિતા, શ્રી માતાજી (પોંડિચેરી આશ્રમ), મધર ટેરેસા, એની બેસન્ટ વગેરે ઉપરાંત એક નામ જુદું તરી આવે છે. તે છે મેડલીન સ્લેડ, જેમને ગાંધીજીએ ‘મીરાંબહેન' નામ આપ્યું હતું. ઈંગ્લૅન્ડના સાધનસંપન્ન કુટુંબમાં ઉછરેલી તરુણીને કઈ રીતે ગાંધીજીનો પરિચય થાય છે અને ક્યું બળ અને છેક ભારત ખેંચી લાવે છે, એ આખી કહાણી વિસ્મય પમાડે તેવી છે.
સન ૧૮૯૨માં મેડલીનનો જન્મ. પિતા નૌકાદળના ઓફિસર હોઈ ઝાઝો વખત દરિયાઈ સફરમાં ગાળતા. દરમિયાન મેડલીન માતા સાથે મોસાળમાં રહેતાં. નાનું પણ રળિયામણું ગામ. આસપાસ નયનરમ્ય પ્રકૃતિ પથરાયેલી હતી. મોટી બહેન રહોના હૉસ્ટેલમાં રહેતાં. ગ્રિનીચ, પોર્ટસ્મથ, લંડન વગેરે જુદાજુદા સ્થળોએ પિતાજીની નિમણૂક થતાં કુટુંબ સ્થળાંતર કરતું.
એક દિવસ પિતાજીએ પિયાનો ૫૨ વિખ્યાત સંગીતકાર બિર્થોવનની રાગિણી વહેતી મૂકી. મેડલીન ભાવવિભોર બની સાંભળી રહ્યાં. તેઓ જ્યારે જ્યારે આ સંગીત સાંભળતાં, ત્યારે ચિત્ત કોઈ અજ્ઞાત પ્રદેશમાં વિહરવા લાગતું. એમને બિથોવન વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. લંડનમાં જ્યારે જ્યારે બિયોવન શૈલીના સંગીત કાર્યક્રમો યોજાતા, ત્યારે મેડલીન તેનો લાભ લેતાં. બિયોવન પ્રત્યેના અહોભાવે મેડલીનને જર્મન ભાષા શીખવા પ્રેર્યાં. વળી વિયેના (ઑસ્ટ્રિયા) જઈ બિથોવનની કબરનાં દર્શન કર્યાં. આ સંગીતકારની વિશેષ માહિતી મેળવવા મેડલીને ફ્રાંસના વિદ્વાન રોમા રોલાંની મદદ લેવાનું વિચાર્યું. પત્રો લખ્યાં. રૂબરૂ પણ મળ્યાં. બન્યું એવું કે આ અરસામાં રોલાંએ લખેલું ગાંધીજીનું પુસ્તક પ્રેસમાં છપાતું હતું. એમણે સહજ વાતવાતમાં મેડલીનને પૂછ્યું કે તેઓ ગાંધીજી વિષે કંઈ જાણે છે કે કેમ. મેડલીનનો 'નહિ' ઉત્તર સાંભળતાં જ રોલાંએ કહ્યું કે, ગાંધીજી એટલે બીજા જિસસ ! આ શબ્દોએ મેડલીનના અંતરના તાર ઝણઝણાવી મૂક્યા.
થોડાક દિવસો બાદ પાછા ફરતાં મેડલીનું માર્ગમાં એક સ્ટૉરમાંથી એ પુસ્તક ખરીદ્યું અને દિવસાંત પહેલાં વાંચી કાઢ્યું. તેની જાદુઈ અસ૨ વર્ણવતાં મેડલીન કહે છે, ‘કોઈ અદીઠ તત્ત્વ મહાત્મા ગાંધી રૂપે મને ખેંચી રહ્યું હતું.” દરિયાપારનો દેશ મેડલીનને સાદ દેતો હતો. ભારત જતાં પહેલાં મેડલીનને લાગ્યું કે ગાંધીજીના આશ્રમને અનુરૂપ રહેણીકરણી શીખી લેવી જરૂરી છે. કાંતણ, વણાટ, શાકાહારી ભોજન, જમીન પર પલાંઠી વાળીને સીધા બેસવું, નિદ્રા માટે સુવિધાવાળા બિછાનાનો ત્યાગ, હિંદી ભાષા આવડવી વગેરે માટે સજ્જ થવાનું હતું, મેડલીન આ દિશામાં સક્રિય થયાં. ત્યાં તો
૧૫
ગાંધીજીના ઉપવાસ (૧૯૨૪)ના સમાચાર જાણ્યા. મેડલીન દુઃખી થયાં. ઉપવાસ પૂરા થયાના ખબર મળ્યા પછી જ શાંતિ થઈ. મેડલીને ગાંધીજીને પત્ર લખ્યો કે પોતે સાબરમતી આશ્રમ આવવા ઈચ્છે છે. ગાંધીજીએ ૨૪ જુલાઈ,૧૯૨૫ના રોજ ઉત્તર પાઠવ્યોઃ ખુશીથી આવી શકો. અગાઉથી ખબર આપજો, જેથી અહીંથી તમને લેવા કોઈ આવી શકે. આશ્રમનું જીવન કપરું છે, ઉદ્યમ માગી લે તેવું. તમને નિરૂત્સાહ કરવા નથી લખતો, માત્ર જાણ કરું છું. અહીંની આબોહવાથી પણ ટેવાવું પડશે.’
પોતે સાદગીભરી જીવનશૈલી મહદ્ અંશે આત્મસાત્ કરી લીધી છે, એમ જણાતાં મેલીને સ્ટીમર મારફત ભારત તરફ પ્રયાણની તૈયારી આદરી. મા અને બહેને લંડન સ્ટેશને વિદાય આપી પિતાજી પેરિસ મળવાના હતા. ત્યાં રોમા રોલાં અને તેમનાં બહેન પણ વિદાય આપવા આવ્યાં. બધાએ મેડલીનને પ્રેમભરી શુભેચ્છાઓ આપી.
તા. ૬-૧૧-૧૯૨૫ના રોજ મેડલીન સ્લેડ મુંબઈ આવ્યાં. દાદાભાઈ નવરોજી અને દેવદાસ ગાંધીની મુલાકાત થઈ. બીજે દિવસે, ૭મી નવેંબરે, સવારે મેડલીન અમદાવાદ પહોંચ્યાં. સ્ટેશન પર સરદાર પટેલ, મહાદેવ દેસાઈ અને સ્વામી આનંદ આવ્યા હતા. માર્ગમાં સતત મેડલીનનું રટણ ચાલતું હતુંઃ આશ્રમ ક્યારે આવશે ? ક્યારે આવશે ?...આખરે એ સ્થળ આવ્યું. સાવ સાદી ઈમારત. ન કોઈ ભપકો, ન કોઈ ઠાઠ. ઈંટોવાળી પગથી પછી પરસાળમાં થઈ એક ઓરડી પાસે આવ્યાં. સરદારે મેડલીનને અંદર જવા કહ્યું. ગાંધીજી ઊઠીને મેલીનને મળવા સામે આવ્યા. યષ્ટિસમ પાતળી કાયા અને સ્મિત વેરતો નિખાલસ ચહેરો જોઈ મેડલીન અભિનિવિષ્ટ થયાં. તેમણે ગાંધીજીને ભાવપૂર્વક વંદન કર્યાં. ગાંધીજીની આંખોમાં વાત્સલ્યનાં નીર ચળકતાં હતાં. તેમણે મેડલીનને ઊભા કર્યાં. બોલ્યાઃ “આજથી તું મારી દીકરી-મીરાં દીકરી.' મેડલીનના હોઠ પર સહજ ઉદ્ગાર આવ્યોઃ ‘બાપુ !’
આશ્રમી જીવન દરમિયાન મીરાંબહેનના વ્યક્તિત્વનાં ત્રણ પાસાં ઊડીને આંખે વળગે છે. અત્રે તેનું વિવરણ કરવાનો ઉપક્રમ છે. (૧) ઉચ્ચ આદર્શો માટે ભૌતિક સુખનો ત્યાગ
આશ્રમ આવતાં પહેલાં જ મીરાંબહેન સાદાઈભર્યું કઠોર જીવન શરૂ કરે છે. એક અંગ્રેજ અમલદારની પુત્રી તપસ્વી જેવી જીવનરીતિ અપનાવે છે. બાપુની સૂચનાથી તુલસીબહેન મહે૨ મીરાંબહેનને રૂ પીંજવાનું, પૂશી બનાવવાનું તથા કાંતવાનું શીખવતાં અને સુરેન્દ્રજી હિંદી ભાષા. ચાઈનીઝ બહેન શાંતિ સાથે મીરાંબહેન સંડાસની સફાઈ હોંશથી કરતાં. અભ્યાસ માટેના શિક્ષકો પણ નક્કી થયા. ઘડિયાળને કાંટે મીરાંબહેનનો રોજિંદો કાર્યક્રમ ચાલતો. રસોઈ, કપડાં, નહાવું-ધોવું ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ સતત ચાલતી રહેતી. સમય જતાં બહેન શાંતિને અંગ્રેજી શીખવવા લાગ્યાં. વળી