________________
૦ વર્ષ : (૫૦) + ૯ ૦ અંક ઃ ૩ ૦
તા. ૧૬-૩-૯૮ ૭
> શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ. ૮૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
Licence to post without prepayment No. 37 ♦ Regd. No. MH / MBI-South / 54 / 98
સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી
‘પ્રબુદ્ધ જીવન’ નિયમિત જોઇ જનાર વાચક, પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધીના નામથી પરિચિત હશે જ. છેલ્લા સાત મહિનાથી ‘કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય' નામની એમની લેખમાળા ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત થાય છે. સામાન્ય રીતે ‘પ્રબુદ્ધ જીવન'માં લેખમાળા છાપતા નથી, પરંતુ પંડિત પનાલાલ ગાંધી માટે આપણે યોગ્ય રીતે જ અપવાદ કર્યો. કેટલાયે તત્ત્વજિજ્ઞાસુઓ, વિશેષતઃ સાધુ-સાધ્વીઓ એમના લેખની આતુરતાપૂર્વક રાહ જુએ છે. ‘પ્રબુદ્ધ જીવન' પોતાને ન મળતું હોય એવા કેટલાયે આ લેખમાળાવાળા જૈઅંકો મંગાવે છે. પંડિત પનાભાઇ પોતે લખવાની પ્રકૃતિવાળા નહિ, પણ એમના શિષ્યવર્ગોમાંના એક શ્રી સૂર્યવદન ઠાકોરલાલ ઝવેરીએ પનાભાઈના સ્વાધ્યાયની નોંધના આધારે એને લેખિત સ્વરૂપ આપી, પનાભાઈ પાસે વંચાવી, મંજૂર કરાવીને પ્રકાશિત કરવા માટે આપણને આપ્યું છે. અગાઉ પણ એ રીતે એમણે પનાભાઇના લેખો ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત કરાવ્યા હતા, જે ‘ત્રિકાલિક આત્મવિજ્ઞાન'ના નામે ગ્રંથરૂપે પ્રકાશિત થયા હતા.
કેવળજ્ઞાન વિશેની લેખમાળા શરૂ થઇ ત્યારે પનાભાઈ સ્વસ્થ હતા. મુંબઈમાં હોય ત્યારે તેમની સાથે ફોન પર વાત થતી. વતન ધ્રાંગધ્રામાં તેઓ હોય તો ત્યાંથી તેમનો પત્ર આવતો. પણ લેખમાળા પૂરી થયેલી કે ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત થયેલી જોવા તેઓ આપણી વચ્ચે ન રહ્યા.
પંડિત પનાલાલ ગાંધીએ. વિ. સં. ૨૦૫૪ના મહા સુદ ૭ ને બુધવાર તા. ૧૮-૨-૯૮ ના રોજ પોતાના વતન ધ્રાંગધ્રામાં ૭૭ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના જવાથી એક આત્મજ્ઞાની મહાત્મા આપણે ગુમાવ્યા છે. પોતાનો અંતકાળ આવી રહ્યો છે એ પનાભાઇ જાણતા હતા. એમને કેટલાક સમય પહેલાં પેટમાં કેન્સરની ગાંઠ થઇ હતી. મુંબઇમાં એમના એક ચાહક અને કેન્સરના નિષ્ણાત ડૉક્ટર શ્રી અશોકભાઇ મહેતા પાસે ઓપરેશન કરાવ્યું. તબિયત સારી થઇ. ધ્રાંગધ્રા ગયા. ત્યાર પછી ધ્રાંગધ્રાથી એમનો પત્ર મારા પર હતો. તેમાં લખ્યું હતું કે ‘પહેલાં કરતાં આહાર સારી રીતે લઇ શકાય છે. હરાય-ફરાય છે.' પરંતુ થોડોક વખત સારું રહ્યું. કેન્સરે ફરી ઊથલો માર્યો, તે બહુ પ્રસરી ગયું. બીજા ઓપરેશનની હવે શક્યતા નહોતી. ડૉક્ટરોએ આગાહી કરી દીધી હતી કે હવે આ વધતા જતા કેન્સરમાં બે અઢી મહિનાથી વધુ સમય ખેંચી શકાય એવી શક્યતા નથી. પરંતુ એક મહિનામાં જ એમના જીવનનો અંત આવ્યો. પોતે અંત સમય સુધી પૂરી સ્વસ્થતા ધરાવતા રહ્યા હતા. તીવ્ર દર્દ થતું હશે પણ તે તરફ એમનો ‘ઉપયોગ'
રહ્યો નહિ. બોલવાનું ધીમું થઇ ગયું હતું. અવાજ નીકળતો નહોતો. અવસાનના થોડા દિવસ પહેલાં શંખેશ્વરની પૂનમ યાત્રાના એમના મિત્રો અને ચાહકો શંખેશ્વર જતી વખતે તેમને મળવા ધ્રાંગધ્રા ગયા હતા. એ બધાંની સાથે પનાભાઈએ ભાવથી વાત કરી હતી અને પોતાનો આધ્યાત્મિક શુભ સંદેશો નીચે પ્રમાણે લખીને વંચાવ્યો હતોઃ
સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ સ્વરૂપ ભૂલી ભમ્યા કરે.
સ્વરૂપ ભજના કરો નિરંતર વહાલા શ્રી વીતરાગ વદે,
કેન્સર વધતાં ધીમે ધીમે પનાભાઇની બધી ઇન્દ્રિયો શાંત પડતી ગઇ અને ૧૮મી ફેબ્રુઆરીએ સવારે ૬-૩૫ વાગે તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. આજીવન બાળબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત થઇ સાધુ થઇ શક્યા નહોતા, પરંતુ એમની ઉચ્ચ આત્મદશાને વૃક્ષમાં રાખી ધ્રાંગધ્રાના લોકોએ એમની પાલખી કાઢી હતી અને ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પનાભાઇ સાથે મારો પહેલવહેલો પરિચય ૧૯૬૭ના અરસામાં થયેલો. મુંબઇમાં ચોપાટીના ઉપાશ્રયે શ્રી ક્ષમાસાગરજી મહારાજનું ત્યારે ચાતુર્માસ હતું. અમે એજ મકાનમાં ઉ૫૨ રહેતા. તે વખતે એમને ભણાવવા માટે પનાભાઇ આવતા હતા. મહારાજશ્રીએ એમનો મને પરિચય કરાવેલો. પનાભાઈ પંડિત હતા, પણ એમને જોતાં તેઓ પંડિત છે એવું લાગે નહિ એટલી સાદાઇ અને એટલી સરળતા એમનામાં હતી. ચહેરા ઉપર પણ પાંડિત્યનો કે મોટાઇનો ડોળ નહિ. પનાભાઈ મહારાજશ્રીને જે રીતે સમજાવતા અને એમની શંકાઓનું સમાધાન કરતા તે પરથી લાગ્યું કે તેઓ શાસ્ત્રોના ઘણા સારા જાણકાર છે. વ્યાખ્યાન આપતા સાધુભગવંતને ભણાવનારની સજ્જતા કેટલી બધી હોવી જોઇએ એ સમજી શકાય એવું છે.
મહારાજશ્રીના ચાતુર્માસ પછી પનાભાઇનું આવવાનું બંધ થયું અને અમારું મળવાનું પણ ખાસ રહ્યું નહિ. રસ્તામાં મળીએ તો હાથ ઊંચો કરીએ એટલો જ પરિચય રહ્યો હતો. ત્યારપછી વર્ષો સુધી પરસ્પર મળવાનું ખાસ બન્યું નહિ, પરંતુ ક્યાંક પણ એમની વાત નીકળે તો એમને મળનાર ગૌરવભેર એમને યાદ કરે.
શ્રી પનાભાઈ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહાવદ ૪ ને તા. ૨૫-૧-૧૯૨૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ જગજીવનદાસ સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એમના ત્રણ દીકરામાં વચલા તે પનાભાઇ હતા. પનાભાઇની