SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૯૬ અને તા. ૧૬-૩-૯૬ પ્રબુદ્ધ જીવન તેઓ પગપાળા કે ગાડામાં જતા. તેઓ જાતે પણ કવિ હોવાથી કથા કરતી વખતે પંક્તિઓ જોડતા. પાદરા ત્યારે વિવિધ હુન્નર કળામાં પ્રખ્યાત હતું, પાદરાનાં હવાપાણી તંદુરસ્તી માટે વિખ્યાત હતાં એટલું જ નહિ પાદરાના વૈદ્યો પણ એટલા જ સુપ્રસિદ્ધ હતા. નાડી પરીક્ષા અને ઔષધોના સારા જાણકાર એવા વૈદ્યોને ત્યાં દૂર દૂરથી દર્દીઓ દવાની પડીકીઓ લેવા આવતા અને કેટલાયે યુવાનો વૈદકશાસ્ત્ર શીખવા આવતા. પાદરામાં જ્યોતિષ વિદ્યાના નિષ્ણાત જોશીઓ પણ હતા. પાદરામાં એક યતિજી શ્રી પ્રતાપવિજયજી થઇ ગયા. તેઓ જ્યોતિષના નિષ્ણાત હતા. એમણે મલ્હારરાવ ગાયકવાડને કહેલું કે તેમને ગાદી કયા દિવસે કેટલા કલાકે મળશે તે પ્રમાણે તે સાચું પડેલું. વળી એમને મલ્હારરાવને કહેલું કે એમના ભાગ્યમાં સાડા ત્રણ વર્ષ અને સાત દિવસનો કારાવાસ લખાયેલો છે. બરાબર એજ પ્રમાણે થયેલું. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાન્તિનાથ અને સંભવનાથના જિન મંદિરો છે. અચળેશ્વર મહાદેવનું મંદિર છે, વૈષ્ણવ મંદિરો છે, સ્વામિનારાયણનું મંદિર છે અને મસ્જિદ પણ છે. જૈન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષી લીધી હતી. ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઇ પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઇ બુદ્ધિસાગરસૂરિ થયા. અને ગુજરાત તથા ગુજરત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું . એ બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસના પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. બુદ્ધિસાગરસૂરિના તેજસ્વી પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાયેલા સયાજીરાવને પોતાના રાજ્યના આ પનોતા નાગરિક માટે ઘણો અહોભાવ હતો. એમણે બુદ્ધિસાગરસૂરિનું વ્યાખ્યાન પોતાના રાજમહેલમાં રાખેલું અને એમના ઉપદેશથી જ સયાજીરાવે પાછલાં વર્ષોમાં શિકારની પ્રવૃત્તિ છોડી દીધી હતી. સમગ્ર પાદરા બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન, પ્રકાશન, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હીમચંદ કરતા. એમના પુત્ર કવિ મણિલાલ પાદરાકરે પાદરા માટે નીચેની સરસ પંક્તિઓ લખી છે. મુજ જન્મભૂમિ વતન જેનાં ધૂળ માટી પવિત્ર છે, એને ચરણ વંદન કરોડી, અમર રહો શિર છત્ર એ. એ નગરનાં નરનારીઓ જ્યાં શૌર્ય સંસ્કારે ભર્યાં, જળ અન્ન લીલુડી વાડીઓ, કવિતા કૃષિ નૂર નર્યાં. જ્યાં બાલ ગાંધી, દલા દેસાઇ, જન્મ તાત્યા ટોપી જ્યાં, તે ક્રાંતિકારી વીર યુવકો સત્તાવન બળવે ધર્યા. ઇતિહાસ ઉજ્જવળ નગરનો, ધર્મ સંસ્કૃતિ જ્યાં ઝર્યાં, નરવું નગર એ પાદરા યશલેખ મણિમય કોતર્યાં. એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાંદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર તે અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદી વણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું . એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને તેવામાં ભરૂચના પારસી વેપારી રૂસ્તમજી વખારીઆના સંપર્કમાં તેઓ આવ્યા. રૂસ્તમજી શેઠે ભાગમાં વેપાર કરવાની દરખાસ્ત કરી અને ભાગીદારીમાં શરૂ થયેલો વેપાર જોતજોતામાં ઘણો બધો વધી ગયો. ભાઇલી, માસરરોડ, ભીલુપુરી, ઇંટોલા, મિયાંગામ, પાલેજ, જંબૂસર, ભરૂચ, અંકલેશ્વર વગેરે ગામોમા જિનિંગ ફેક્ટરીઓમાં રૂની ગાંસડીઓ તૈયાર થવા લાગી. સાથે 3 કપાસિયાનો વેપાર પણ ચાલુ થયો. જોતજોતામાં તો તેઓ ઘણું ધન કમાયા. આખા પાદરા તાલુકામાં પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. જે જમાનામાં સામાન્ય લોકો પાસે બે-પાંચ તોલા ઘરેણાં હોય તે જમાનામાં એમના કુટુંબમાં સ્ત્રીઓના વિવિધ ઘરેણાં ઉપરાંત છોકરાંઓ પણ વીંટી, કંઠી, કડા અને સોનાના કંદોરા પહેરતા થઇ ગયા હતા. મોટા ત્રાજવે તોલાય એટલું સોનું એમની પાસે હતું. મુંબઇના બજારમાં નવી નીકળેલી ચીજવસ્તુઓ એમને ત્યાં આવી જતી. એ જમાનામાં બેન્કોની વ્યવસ્થા પ્રચલિત થઇ નહોતી. શરાફી પેઢીઓ ચાલતી, પરંતુ અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતા. બધાંને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિના માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા. કોઇ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તે ખાલી હાથે પાછો ફરે નહિ. કચવાતે મને નહિ પણ પ્રેમથી પ્રસન્નતાપૂર્વક તેઓ મદદ કરતા. દેવાદારોના દેવા તેઓ માફ કરી દેતા. અને કોઇને ખબર પડવા દેતા નહિ. વ્યાજે મૂકવા આવના૨ કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ રકમથી પણ વધુ સહાય કરતા કે જેથી તેઓ નિશ્ચિંત રહી શકે. આથી તેમનું નામ ‘લહેરી શેઠ' પડી ગયું હતું. લોકો વાતચીતમાં પણ એમના નામનો ઉલ્લેખ કરવાને બદલે ‘લહેરી શેઠ' બોલતા. લહેરી શેઠ ખવડાવવામાં ઘણા ઉદાર હતા. મહેમાનોની અવરજવર સતત ચાલુ રહેતી. પણ તે ઉપરાંત એ દિવસોમાં લહેરી શેઠની ચા પીવા ગામના ઘણાં આવતા. ચાનો પ્રચાર ત્યારે હજુ થયો નહોતો. થોડા શ્રીમંતોને ઘરે ચા આવી હતી. ખાસ મુંબઇથી ચા મંગાવવામાં આવતી. કપરકાબી નહોતા. છાલિયામાં ચા આપવામાં આવતી. મળવા આવેલા લોકો ઘરની બહાર રાખવમાં આવેલી મોટી પાટ પર બેસતા અને ચા પીને રવાના થતા. જ જ લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ મળે તો લોકો શુકન માનતા, સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે તેમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. વેપાર-ધંધાના બહોળા અનુભવને લીધે તથા અનેક વ્યકતિઓના પરિચયમાં આવવાને લીધે તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને દીર્ઘ દષ્ટિથી કોઇપણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા. તેમની સૂઝ, સત્યપ્રીતિ અને ન્યાયબુદ્ધિને લીધે ભાઇ ભાઇ વચ્ચે, સગાં સંબંધીઓ વચ્ચે, જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે તેમની નિમણૂંક થતી અને તેઓ પોતાની આગવી સૂઝથી ન કલ્પેલો એવો સરસ ઉકેલ બતાવતા કે જે બંને પક્ષને સહર્ષ મંજૂર રહેતો. અમૃતલાલ બાપાના વડવાઓ રાજસ્થાનમાં ઓશિયાંથી કચ્છમાં થઇ ગુજરાતમાં આવેલા. વિશા ઓશવાળ એમની જ્ઞાતિ. વહાણવટી શિકોતરી માતા તે કુળદેવી. એમની પેઢી આ રીતે ગણાવાય છે. અમૃતલાલ-વનમાળીદાસ-સાકરચંદ-ભાઇચંદ-વસંતચંદ-લક્ષ્મીચંદજસાજી. અમૃતલાલ બાપાને ચાર દીકરા-સોમાલાલ, ચીમનલાલ, જમનાદાસ અને નગીનદાસ અને એક દીકરી ચંપાબહેન. એ પાંચે તથા એમનાં સંતાનો મળીને પચાસેક સભ્યોનું કુટુંબ થયું હતું. બધાં એમને ‘બાપા’ કહીને સંબોધતા. મારા પિતાશ્રીનાં માતુશ્રી એટલે કે મારા દાદીમાનું નામ અમથીબહેન હતું. તેઓ પાદરા પાસે ડભાસા ગામના વતની હતાં. તેઓ જાજ્વલ્યમાન હતાં. અમથીબાએ જીવનમાં ઘણી જાહોજલાલી જોઇ હતી. તેઓ ઘણી વાર મુંબઇ આવતાં અને પાછાં પાદરા આવે ત્યારે પડોશમાંથી ઘણી બહેનો એમની મુંબઇની વાતો સાંભળવા રાત્રે એકઠી મળતી. એ દિવસોમાં સામાન્ય માણસો માટે મુંબઇ એ સ્વપ્ન સમાન હતું. ગામમાંથી કોઇક જ મુંબઇ સુધીનું રેલ્વે ભાડું ખર્ચી શકે. અમથીબા ઘણાં હોંશિયાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને પરગજુ હતાં.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy