SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૯૩ અને તા. ૧૬-૮-૯૩ શ્રીમંતોના મહોલ્લાઓમાં જા અને ત્યાં જઇને કહે કે જે પુરુષ આ હાર એક હજાર અને આઠસો સુવર્ણમહોર આપીને ખરીદી લે તેને માધવી સાથે પ્રણયસંબંધનો અધિકાર મળશે. આ વાત ફરતી ફરતી કોવાલનના સાંભળવામાં આવી. તે અત્યંત શ્રીમંત હતો. આટલી સુવર્ણમહોરની તેને મન કશી વિસાત નહોતી. વળી ગણિકાને ત્યાં જવાની શ્રીમંતોમાં ત્યારે પ્રણાલિકા હતી. સમાજમાં એવા શ્રીમંતોની પ્રતિષ્ઠા વધતી. કોવાલને તરત એ હાર સુવર્ણમહોર આપીને ખરીદી લીધો. એટલે તરત કોવાલનને માધવીના ઘરે લઇ જવામાં આવ્યો. માધવીનું રૂપસૌન્દર્ય જોઇ કોવાલન મોહિત થઇ ગયો. માધવીના ઘરે રહીને અને માધવી સાથે પ્રણયસંબંધ બંધાતાં કોવાલનને એ ઘ૨ છોડીને પોતાને ઘરે પાછા ફરવાનું ગમ્યું નહિ. એમ કરતાં કરતાં દિવસો વીતતા ગયા અને કોવાલન પોતાના ઘ૨ને ભૂલવા લાગ્યો. કન્નગીનું સ્મરણ પણ તેને ઓછું થતું ગયું. એમ કરતાં કરતાં ઘણો કાળ વીતી ગયો. હવે તો માઘવીનું ઘર એ જ પોતાનું ઘ૨ એમ એને લાગવા માંડ્યું. તે માધવી પાછળ ઘણું ધન ખર્ચવા લાગ્યો. એ જમાનામાં એ પ્રદેશમાં આવી ઘટનાઓ બનતી. આ બાજુ કન્નગીને એકબે દિવસ રાહ જોયા પછી જયારે ખબર પડી કે એનો પતિ કોવાલન ગણિકાને ઘરે જ રહી ગયો છે ત્યારે તે ઘણી દુઃખી થઇ. સુંદર વસ્ત્રાલંકારથી સજ્જ થવમાં કે ઘરને શણગારવામાંથી તેનો રસ ઊડી ગયો. તેના ચહેરા ઉપરનું હાસ્ય ઊડી ગયું. આમ છતાં તે ક્યારેય પોતાના દુઃખની વાત પોતાની સહેલીઓને કરતી નહીં, તેના સાસુ-સસરાને આ વાતની જાણ થતાં તેઓએ કોવાલનને પાછો લાવવા શક્ય એટલા પ્રયાસો કર્યા, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા. તેઓ કન્નગીને સાંત્વન આપતા રહેતા, એ સિવાય બીજો કોઇ રસ્તો રહ્યો ન હતો. આ બાજુ માધવીએ કોવાલનના હૃદયને જીતી લીધું. તેણે જોયું કે કોવાલન તેને ચાહે છે અને તેની ઇચ્છા પ્રમાણે ધન ખર્ચે છે એટલે તે પણ કોવાલન પ્રત્યે પતિવ્રતા સ્ત્રીની જેમ રહેવા લાગી. એક ગણિકા થઇને એમ રહેવું સરળ નહોતું. પણ માધવી કોવાલનને વફાદાર રહી. એમ કરતાં માધવી સગર્ભા થઇ અને એક પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રીનું નામ શું રાખવું ? કોવાલને પોતાની આ પુત્રીનું નામ મણિમેખલા (તમિળમાં મણિમેકલૈ) રાખવાનું નક્કી કર્યું. મણિમેખલા એ એક જલદેવીનું નામ છે. આ જલદેવીએ કોવાલનના એક વડવાને સમુદ્રમાં વહાણ ડૂબતું હતું ત્યારે તેમને તરીને કિનારે પહોંચવામાં મદદ કરી હતી, કારણ કે એ વડવાએ દાન-દયાનાં મોટાં પુણ્યકાર્યો કર્યા હતાં. આથી કોવાલનને પોતાની પુત્રીનું નામ મણિમેખલા રાખવાનું વધુ ગમ્યું. પ્રબુદ્ધ જીવન કોવાલન અને માધવીએ પોતાની દીકરીના નામકરણનો ઉત્સવ ભારે ઠાઠમાઠથી ઊજવ્યો. તે દિવસે તેઓએ ઘણા યાચકોને સુવર્ણ મહોર આપી. એ દિવસે એક ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ એમની પાસે દાન લેવા આવતો હતો ત્યાં રસ્તામાં એક મદોન્મત્ત હાથીએ બ્રાહ્મણને પોતાની સૂંઢમાં ભરાવ્યો. કોવાલનને જેવી આ વાતની ખબર પડી કે તરત તે હાથી પાસે પહોંચ્યો અને પોતાની બહાદુરી અને આવડતથી બ્રાહ્મણને છોડાવ્યો અને હાથીને શાંત કર્યો. કોવાલન આમ ઘણો ઉદાર અને પરગજુ હતો. એક વખત કોઇ એક બ્રાહ્મણની પત્નીથી નોળિયો મરી ગયો. આવી પાપી પત્નીને છોડીને બ્રાહ્મણ ચાલ્યો ગયો. કોવાલનને જયારે આ વાતની ખબર પડી ત્યારે એણે એ સ્ત્રીને વિધિપૂર્વક પ્રાયશ્ચિત લેવામાં જોઇતા ધનની મદદ કરી અને એના પતિને શોધી કાઢી, મનાવી પતિપત્ની બંનેને એકત્રિત કર્યાં હતાં. એવી જ રીતે કોઇક માણસે કોઇક સતી સ્ત્રીના ચારિત્ર વિષે મિથ્યા આરોપ કર્યો તો એ ક્રુર અપરાધીને એક ભૂતે પકડી લીધો. કોવલનને એ અપરાધીનાં દુઃખી અને રડતાં માતાપિતાને જોઇને દયા આવી. એણે ભૂતને બદલામાં પોતાના પ્રાણ લેવા વિનંતી કરી, પરંતુ ૭ ભૂતે તે વિનંતી સ્વીકારી નહીં અને અપરાધીના પ્રાણ હરી લીધા. આથી કોવાલને એના માતાપિતાને બહુ સાંત્વન આપ્યું. એમ જોઇતી બધી સહાય કરીને એમના દુઃખમાં તે સહભાગી થયો હતો, આમ કોવાલન દિલનો ઘણો ભલો અને ઉદાર હતો, પરંતુ માધવી પાછળ ઘણું ધન ખર્ચવાને લીધે તથા આવી રીતે લોકોને છૂટે હાથે આપવાને લીધે કોવાલન પાસે જે વડીલો પાસેથી મળેલી સંપત્તિ હતી તે દિવસે દિવસે ઓછી થતી ગઇ. એમ કરતાં કરતાં પોતાની બધી સંપત્તિ હવે ખલાસ થવા આવી છે એની ખબર પડતાં કોવાલન ઉદાસ થવા લાગ્યો. કાવિરિપ્રુમ્પટ્ટિનમ નગરમાં દર વર્ષે ગ્રીષ્મૠતુમાં ઇન્દ્ર પૂજાનો વાર્ષિક ઉત્સવ ઊજવાતો. શહેર ઘણું સમૃદ્ધ હતું એટલે સુખી માણસો આ ઉત્સવમાં ઉલ્લાસથી ભાગ લેતા. આસપાસના દેશોના લોકો ઉપરાંત ઠેઠ હિમાલય સુધીના રાજયોના લોકો પણ આ ઉત્સવ અને મેળો જોવા આવતા. શહેરની શેરીઓ ઘજા--તોરણથી શણગારવામાં આવતી. નૃત્ય-સંગીતના વિવિધ કાર્યક્રમો થતા. મંદિરોમાં પ્રાર્થનાઓ થતી. કાવેરી નદીના પાણીમાં ઇન્દ્ર દેવતાની મૂર્તિને સ્નાન કરાવવામાં આવતું. આ મહોત્સવમાં યોજાયેલા નૃત્યસંગીતના કાર્યક્રમોમાં એક કાર્યક્રમ માધવીનો પણ હતો. માધવીએ એ માટે પૂરેપૂરી તૈયારી કરી હતી. સુંદર વેશભૂષામાં સજ્જ થયલી મધવએ બહ સરસ નૃત્ય કર્યું. લોકો ખૂબ આનંદિત થઇ ગયા. પરંતુ પોતાની સંપત્તિ ઘણી ઓછી થઇ જવાને લીધે ઉદાસ થયેલો કોવાલન માધવીના નૃત્યથી પ્રસન્ન ન થઇ શક્યો. માધવી એ તરત સમજી ગઇ. દર વર્ષે આ ઉત્સવ પૂરો થયા પછી લોકો કાવેરી અને સમુદ્રના સંગમ સ્થળના કિનારે એકત્ર થઇ આનંદ માણતા. કોવાલનને પ્રસન્ન કરવા માધવી એ ઉત્સવ માટે એને ત્યાં લઇ ગઇ. સંગમસ્થળે, સમુદ્ર કિનારાની રેતીના તટમાં શમિયાણો તૈયાર કરાવવામાં આવ્યો હતો. માધવીની દાસી વસંતમાલાએ બેઠક તૈયાર કરી તથા વાજિંત્રો ગોઠવ્યાં, વસંતમાલાએ ‘યાલ'નામના વાજિંત્રના તા૨ સરખા કર્યા. માધવીએ એ વગાડી જોયું. ત્યાર પછી માઘવીએ એ કોવલનને વગાડવા આપ્યું અને મધુર ગીતો ગાવા કહ્યું. કોવાલન માધવીને પ્રસન્ન કરવા ચાહતો હતો એટલે એણે સરિતા-સાગરના સંગમના ગીતો અને બીજાં કેટલાંક પ્રચલિત લોકગીતો ગાયાં. એમાં પ્રણયની અભિવ્યક્તિ હતી. કોવાલન સહજ ભાંવથી એ ગીતો ગાતો, વગાડતો હતો, પરંતુ માધવીને કોણ જાણે કેમ પણ એમ લાગ્યું કે કોવાલન બીજી કોઇ પ્રિયતમાને માટે આવાં ગીતો વગાડે છે. કોવાલન હવે પોતાનાથી નારાજ થઇ ગયો છે. માધવીનું આ અનુમાન સાચું નહોતું. પરંતુ એક વખત મનમાં સંશય જન્મે એટલે તે જલદી નીકળે નહીં. આથી કોવાલને જયારે માધવીને ‘યાલ' વગાડવા આપ્યું ત્યારે માધવીએ પણ પ્રતિકારરૂપે એવાં જ ગીતો ગાયા, પરંતુ એથી તો કોવાલનને એમ થયું કે ‘હું માધવીને ખૂબ ચાહું છું, પરંતુ માધવીએ તો પરપુરુષ સાથેના પ્રેમનાં ગીત ગાયાં. મારી સંપત્તિ ઓછી થઇ ગઇ છે એટલે જરૂર હવે તેણે ખાનગીમાં બીજા કોઇ પુરુષ સાથે સંબંધ બાંધ્યો હશે. અંતે તો માધવી એક ગણિકા છે. ગણિકાનો એ સ્વભાવ જાય નહિ. અત્યાર સુધી તેણે મને છેતર્યો. તે મને બેવફા જ હતી. તે મારી ધનદોલત પડાવી લેવા જ મને ચાહવાનો ડોળ કરતી હતી,’ માધવી ગાતી હતી ત્યારે કોવાલનના ચિત્તમાં ઊઠતા આવા આવા વિચારો વેગ પકડતા જતા હતાં. માધવીને આ ક્ષણથી પોતે છોડી દેવી જોઇએ એવા નિર્ણય ઉપ૨ તે આવ્યો. તે એકદમ ઊભો થયો અને ચાલવા લાગ્યો. એના પોતાના નોકરો પણ તરત તેની સાથે ચાલવા લાગ્યા. માધવી એકદમ વિમાસણમાં પડી ગઇ. શું કરવું તે એને સૂઝ્યું નહિ. પોતાનાં ગીતોનું આવું પરિણામ આવશે એવું એણે ધાર્યું નહોતું.
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy