________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
5
May-2016
મારામાં જેવું પરમાત્મત્વ રહ્યું છે તેવું આ આંખે દેખાતા સર્વ જીવોમાં પરમાત્મપણું રહ્યું છે તેથી સત્તાની અપેક્ષાએ આખું જગત્ સિત્ પરમાત્મરૂપ દેખાય છે. સત્તાએ ચિત્ રૂપ સર્વ જીવોની સેવા ભક્તિ અને ધ્યાનમાં એકત્વ રૂપ ઉપાસના કરવાથી નાત, જાત, નામ, રૂપાદિ સ્થૂલ ભેદની ભ્રાન્તિનો નાશ થાય છે અને પરમાત્મત્વજ સર્વત્ર સત્તાથી અવલોકાય છે. આ પ્રમાણે ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં અને અન્ય કાર્ય કરવા છતાં સંગ્રહનયદૃષ્ટિથી સત્તાની અપેક્ષાએ સર્વત્ર પરમાત્માની ભાવના ભાવ્યાથી આત્માની અને પરમાત્માની અભેદોપાસનાની સિદ્ધિ થાય છે.
સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માઓ રહ્યા છે, આમ જે જુવે છે તે પોતાનામાં અન્યોમાં પ્રભુને જોઇ શકે છે અને તે પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય અભેદોપાસનાથી આખી દુનિયામાં પરમાત્મ દેવનો સંયમ કરતો નથી તે પ્રભુની પ્રાપ્તિ ઇચ્છે તો ક્યાંથી તે તેને મળી શકે?
જે સર્વ જીવોમાં અભેદોપાસનાથી પરમાત્મપણું સત્તાએ દેખતો નથી અને સર્વ જીવોને ચ્હાતો નથી તે પ્રભુના નામ વડે પ્રભુની સાથે અભેદોપાસના કેવી રીતે કરી શકે?
આખી દુનિયામાં ઉદાર ભાવથી સત્તાએ સર્વ જીવોને પરમાત્માઓ માનીને તેઓના પ્રતિ આત્મદૃષ્ટિ રાખીને તથા આત્મદૃષ્ટિને આચારમાં મૂકીને વર્તવાથી પ્રભુની ભક્તિ સેવારૂપ અભેદોપાસના ક્ષણેક્ષણે થયા કરે છે. આત્મામાં પ્રભુતા પ્રગટાવવાની અભેદોપાસના સર્વોત્તમોપાય છે.
દુનિયામાં સર્વ જીવોની સાથે સત્તાએ તેઓ પરમાત્માઓ છે એવો ભાવ રાખીને વર્તવું જોઇએ. જે અસંખ્યાત પ્રદેશરૂપ અરૂપી આત્મતત્ત્વ પોતામાં વ્યાપી રહ્યું છે તેવા પ્રકારે સર્વ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્મતત્ત્વ એક સરખા ગુણવાળું વ્યાપી રહ્યું છે. તે આત્મતત્ત્વને જ ખરી રીતે દેખવાનું છે અને તેને જ ખરી રીતે પૂજવાનું છે અને તેના સ્વભાવે ખરી રીતે વર્તવાનું છે.
નાના મોટા ત્રણ ભુવનમાં રહેલા સર્વ દેહધારીઓમાં એકસરખા સત્તાએ પરમાત્માઓને દેખવા. આવી રીતે સત્તાએ પરમાત્મત્વને દેખવાથી સર્વ જીવોની સાથે વૈર વિરોધ રહેતો નથી અને તેમજ અહં મમત્વરૂપ મોહભાવ સ્વયમેવ પાણીમાં લૂણની પેઠે વિલય પામી શકે છે એમાં કંઇ આશ્ચર્ય નથી.
For Private and Personal Use Only
(Countinue...)