________________
૧૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
છાયા સમુદાયકારાએ પડે છે. સંઘ સાથે યાત્રા કરવાવાળો અનુભવી મનુષ્ય જોઈ શકે છે કે સંઘમાં રહેલા યાત્રિકોની જેમ જેમ મોટી સંખ્યા હોય છે તેમ તેમ તેની પ્રસિદ્ધિ વધારે વધારે પ્રમાણમાં થાય છે, અને તે પ્રસિદ્ધિને લીધે અસંખ્ય જૈનેતર મનુષ્યો પણ કોઈ કોશોથી આવી તે સંઘના દર્શનનો લાભ લે છે, અનુમોદના કરે છે, અને સંઘપતિ તથા શાસનધુરંધરોની ભક્તિ કરવાપૂર્વક બહુમાન કરે છે. કેટલેક સ્થાને તો સત્તાધારકો અન્ય ધર્મઓ છતાં પણ જૈનધર્મના દેવ, ગુરુ આદિનું બહુમાન કરવા સાથે પોતાની હિંસક વિગેરે અધમ વૃત્તિઓને પણ યાવજીવને માટે કે કેટલાક કાળને માટે જલાંજલિ આપે છે. તીર્થસ્થાનના સત્તાધિકારીઓ પણ તેવા વિશાળ સંઘના સંઘપતિઓને ઘણા જ સન્માનથી નવાજે છે. સંઘપતિએ કરવા ધારેલા તીર્થના ઉત્તમ કાર્યોમાં અસાધારણ રીતે મદદ કરનારા થાય છે, અને તીર્થની આશાતના ટાળવા તરફ સંઘપતિએ તે સત્તાધીશનું દોરેલું ચિત્ત સતત્ અવ્યાહતપણે રહે છે. કેટલેક સ્થાને તો તેવા વિશાળ સમુદાયના સંઘપતિની પ્રેરણાથી સત્તાધિકારીઓએ યાવચંદ્રદિવાકર સુધી આવકો કરી આપેલી છે એમ ભૂત અને વર્તમાન કાળનો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. વળી સંઘપતિપણાના અવસરને અંગે તે તે તીર્થસ્થાનોનો ચિરસ્મરણીય ચૈત્યાદિકના જીર્ણોદ્ધાર આદિના કાર્યો કરે છે તે સર્વ એ સંઘયાત્રાનો પ્રભાવ છે. શાસ્ત્રોમાં જેમ સાધુઓને પોતાના આત્માની સાક્ષીએ સાધુપણું પાળવાનું હોય છે, છતાં પણ આચાર્ય અને ગચ્છવાસીની અપેક્ષાએ તેના સાધુપણામાં સુંદરતા દિવસે દિવસે નવા નવા રૂપમાં આવે છે, તેવી રીતે સંઘપતિ પણ જો કે ધર્મના સ્વતંત્ર અર્થે હોય જ છે, તો પણ તેવા તેવા સુંદર સમુદાયના યોગે સુંદર સુંદર ભાવોલ્લાસમાં આવી સુંદર સુંદરતર કાર્યો અધિક અધિક કરનારો થાય છે. સંઘયાત્રાના વર્તમાન કાળના પ્રભાવિક કાર્યો અન્ય ધર્મિષ્ઠોને અનુમોદનાદ્વારા નિર્મળતા કરનારા હોય તેમાં તો શું કહેવું ? પણ ભવિષ્યકાળમાં પણ સંઘપતિની યાત્રા અને તેના ચિરસ્મરણીય કાર્યો અનેક ભવ્ય જીવોને અનુમોદનાદ્વારા નિર્મળતા કરાવનારા થાય છે એ વાત ધર્મિષ્ઠ ઇતિહાસજ્ઞોથી અજાણી નથી. બીજી બાજુ મનુષ્યને વડિલોપાર્જિત કે સ્વભુજોપાર્જિત મળેલા ધનની ત્રણ દશા સિવાય ચોથી દશા નથી હોતી એ અવિચળ સિદ્ધાંત છે, એ ત્રણ દશામાં નાશ અને ભોગદશા સર્વથા પરિણામે નીરસ છે એમાં બે મત થઇ શકે જ નહિ. વાસ્તવિક રીતે મળેલા ધનનું ફળ હોય તો તે કેવળ દાન જ છે. દાન એ એવી વસ્તુ છે કે જે જીવનનાશે કે ધનનાશે પણ પોતાના પુણ્ય લાભરૂપી કે કીર્તિરૂપી ફળને નાશ થવા દેતી નથી. હજારો, લાખો અને કરોડો ધનપતિઓ મરી ગયા, તેના ધનનો અંશ પણ ન રહ્યો છતાં તેઓએ કરેલા દાનનો પ્રભાવ શાસનમાં અવ્યાહતપણે જાગતો જ છે, અને તે અવ્યાહતા દાનપ્રભાવને દેખીને અનેક શ્રદ્ધાળુ અને ઇતિહાસપ્રેમી જીવો અનુમોદના કરીને પોતાના આત્માને નિર્મળ કરે છે અને ધનપતિઓ પણ તે દાનના ફળ સદગતિમાં બિરાજમાન થઈ અનુભવી રહ્યા છે.
જો કે દાનધર્મનું સેવન ગૃહસ્થોનો મુખ્ય ધર્મ હોવાથી પ્રતિદિનના કર્તવ્ય તરીકે હોઈ સર્વસ્થાને હોય છે, પણ સંઘપતિપણાના પ્રસંગમાં કે સંઘના યાત્રિકપણાના પ્રસંગમાં તે દાનધર્મને સેવનનો પ્રસંગ જબરદસ્ત મળે છે. વળી સંઘપતિ તરીકે કે સામાન્ય યાત્રિક તરીકે સંઘસમુદાયે યાત્રા કરતાં દેશમાં અનેક સ્થાને ભિન્નભિન્નપણે રહેલા ચતુર્વિધ સંઘનો મહાન સંગમ થાય છે, અને તેથી તે ભિન્નભિન્ન સ્થાનના ભિન્નભિન્નપણે રહેલા ચતુર્વિધ સંઘના નરરત્નોના ગુણોનું જ્ઞાન થવાથી આત્માને તે ગુણોને વાસિત) કરવાનું, તેમજ નહિ પ્રાપ્ત થયેલા ગુણોને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ગુણીજનોના બહુમાન, સત્કાર વિગેરે