________________
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
કાનજીભાઈ પટેલ
કથા સાહિત્ય: માનવ જીવનમાં કથા-વાર્તાનું બહુ મહત્ત્વનું સ્થાન રહ્યું છે. માણસ લેખનકળા જાણતો ન હતો ત્યારથી તે કથાવાર્તાઓ દ્વારા પોતાના કુટુંબનું-સમાજનું મનોરંજન અને તેમની જ્ઞાનવૃદ્ધિ કરતો આવ્યો છે. એટલે કે, જ્ઞાનવિનિમયનાં અનેક સાધનોમાં સરળ અને સર્વગમ્ય સાધન તે કથાવાર્તા છે. બાળપણથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાં એક સરખી રીતે ઉપયોગી થાય તેમજ જ્ઞાન લેનાર અને દેનાર બન્નેને શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે એવું એક અજોડ સાધન તે કથાવાર્તા છે. ઉપરાંત, તે અતીત અને અનાગતને વર્તમાનમાં ઉપસ્થિત કરવા માટે રોચક અને પ્રભાવશાળી માધ્યમ છે. કળાના ક્ષેત્રમાં અભિવ્યક્તિનું સુંદર અને સરસ સાધન છે, તેમજ જગતના સર્વોત્કૃષ્ટ સાહિત્યની જનની છે.
મનુષ્ય સ્વભાવત : ઉપદેશપ્રિય નથી; પણ અનુકરણપ્રિય છે. અનુકરણ તેની મૂળ વૃત્તિ છે. તે ઉપદેશની અપેક્ષાએ અનુકરણથી વધારે અને જલદીથી શીખી જાય છે. એટલા માટે મનુષ્યના મનમાં માનવીય ગુણોની ભાવના અને પ્રેરણા જગાડવા માટે ઉપદેશાત્મક સાહિત્ય કરતાં કોઈ અનુકરણીય ચરિત્રનો આદર્શ વધારે પ્રભાવશાળી બને છે. ચરિત્રાત્મક આદર્શ તેની અનુકરણવૃત્તિને ખૂબ ઝડપથી ઉત્તેજિત કરે છે અને ગતિશીલ બનાવે છે. આ જ મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર આદિકાળથી આજ સુધી કથાસાહિત્ય નિરંતર અસંખ્ય રૂપોમાં વ્યક્ત થતું રહ્યું છે. એ રીતે કથા-સાહિત્યમાં અનેક કથાઓ, વાર્તાઓ, આખ્યાનો, દષ્ટાંતો, ઉપમાઓ, ઉદાહરણો વગેરે મળી આવે છે, જે શિક્ષાપ્રદ હોવા ઉપરાંત પ્રેરણાદાયક અને મનોરંજક પણ છે.
ભારતીય કથાસાહિત્યના સર્જનમાં જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે પરંપરાઓએ પોતપોતાની રીતે વિશિષ્ટ ફાળો આપ્યા છે. વૈદિક કથાસાહિત્યની વિશેષતા જેમ દેવાસુરના સંગ્રામની કલ્પનામાં છે તેમ બૌદ્ધ પરંપરામાં પારમિતાઓની સિદ્ધિમાં છે. અન્ય પરંપરાની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદનો આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મ જન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વ જન્મને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ આપી છે, જે જાતકકથાના નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ લોકકથાઓનો ઉત્તમ ભંડાર છે. સિલોન, બર્મા વગેરે દેશોમાં આ કથાઓ એટલી તો લોકપ્રિય છે કે ત્યાંના લોકો આજે પણ તે કથાઓ ઘણા રસથી વાંચે છે અને સાંભળે છે.