________________ 81 ‘ઠાણાંગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી. 82 વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા ‘નિશ્ચયનય’ સિવાય બીજા નયને એટલે ‘વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. 83 કોઈ નવ તત્વની, કોઈ સાત તત્વની, કોઈ ષદ્રવ્યની, કોઈ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ એવી બે રાશિ અથવા એ બે તત્વ અર્થાત દ્રવ્યમાં સમાય છે. 84 નિગોદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે; પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે : ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે છે, અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે; તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, તો જીવની સંખ્યાના પ્રમાણ વિષે અનુભવ નથી થયો છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્માનુભવ કરવો; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતો, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું. 85 જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઇચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. 86 જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિષે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે. 87 જેમ જેમ જીવ કર્મપુદગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે.