________________ 843 શ્રીમત વીતરાગ ભગવતીએ વસો, પ્રથમ આસો સુદ 6, બુધવાર, 1954 શ્રીમત વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજુ કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે. નિર્વિકલ્પ.