SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 773 જે વેદનીય પર ઔષધ અસર કરે છે, વવાણિયા, ચૈત્ર સુદ 15, શનિ 1953 શ્રી સર્વજ્ઞાય નમઃ જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયનો બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમકે તે ઔષધ અશુભકર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભકર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઇ શકે. મંદ કે મધ્યમ શુભ અથવા અશુભ બંધને કોઇ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઇ શકે છે. મંદ કે મધ્યમ બાંધેલા કેટલાએક શુભ બંધને કોઇ એક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણામીપણું થાય છે. તેમજ તેવા અશુભ બંધને કોઇ એક શુભકર્મના યોગથી શુભ પરિણામીપણું થાય છે. | મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે. કોઇ એક મનુષ્ય કોઇ એક મનુષ્યપ્રાણીનો તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઇ તેનો બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકનો ઉદય થવાનો વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્તાના પરિણામવત્ જ છે એમ એકાંતે નથી, અથવા તે શિક્ષા કોઇ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મના ઉદયરૂપ પણ હોય છે; અને વર્તમાન કર્મબંધ સત્તામાં પડ્યા રહે છે, જે યથાવસરે વિપાક આપે છે. સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દ્રષ્ટિએ તો હિંસા કરતાં અસત્યાદિનું પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. તેમ જ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. કોઇએક હિંસા કરતાં કોઈએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે, તેમ જ કોઈએક અસત્યાદિ કરતાં કોઇએક હિંસાનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગણ વિશેષ પર્યત થાય છે. ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં, સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં, કોઇએક પૂર્વકર્મના બળવાનપણાથી જે જીવ ગૃહસ્થાવાસ ત્યાગી શક્તા નથી, તે પુરુષ ગૃહસ્થાવાસમાં કુટુંબાદિના નિર્વાહ અર્થે જે કંઇ પ્રવૃતિ કરે છે, તેમાં તેનાં પરિણામ જેવાં જેવાં વર્તે છે, તે તે પ્રમાણે બંધાદિ થાય. મોહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઇ કર્મબંધ ભૂલથાપ ખાતો નથી. તે તો યથાપરિણામ બંધપણું પામે છે. કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી ન શકે તોપણ શુભ અને અશુભ કર્મ સફળ છે, એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં.
SR No.330899
Book TitleVachanamrut 0773
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy