SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારોનો અનુભવ થાય છે, અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજ સિદ્ધ થાય છે. (67). આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. 68 આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. 68 અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. 69 વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં, કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. 69 ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. 70 વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા
SR No.330842
Book TitleVachanamrut 0718 3 Atma Siddhi Gatha 074 to 102
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy