________________ બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. 4 બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. 5 બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. 5 વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન, 6 વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. 6 વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત ભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદગુરૂનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્વળ અંતઃકરણ વિના સદગુરૂનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું. અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તો, અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી, અને આત્મજ્ઞાન પામ્યું તો તે ગુણો અત્યંત દ્રઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં. માત્ર