SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમિતપણું નથી. ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે. અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને ‘જાતિસ્મતિજ્ઞાન’ છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા ‘જાતિસ્મૃતિ’ હોવી સંભવે છે, અથવા જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. બીજો પ્રશ્નઃ- “જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું?’ તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો :જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિપરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નયથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે. ત્રીજો પ્રશ્ન- ‘કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો : વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે, અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે.
SR No.330750
Book TitleVachanamrut 0629
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy