SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 546 જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય મુંબઈ, માગશર વદ 3, શુક, 1951 પ્ર- ‘જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ?' એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાન : પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જિનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે, કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ-પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંતરપણું ભજે છે, તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી, કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શક્યા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહક ક્ષેત્રને ત્યાગતો નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જો જળ શાંત હોય તો શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે તેમ પરમાણુ, આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળી પામે છે. જેમ સોનું બે પર્યાયને ભજતાં સોનાપણામાં જ છે, તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એક પુરુષ (જીવ) બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેનો તે જ રહે, તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એવો જિનનો અભિપ્રાય છે, તે વિરોધી લાગતો નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે. ચક્ષને વિષે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલનસ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે; તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગત આવા વિચિત્રપણાને પામી શકે નહીં. કેમકે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયોગ-વિયોગ, એકત્વ-પૃથકત્વ, એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષનો થતો નથી તેમ.
SR No.330667
Book TitleVachanamrut 0546
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy