SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે ‘અધિષ્ઠાન’ વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ ? શું તેને ‘અધિષ્ઠાન’નું જ્ઞાન નહીં થયું હોય ? અથવા ‘અધિષ્ઠાન' નહીં જ હોય ? અથવા કોઈ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી ‘અધિષ્ઠાન' વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે ‘અધિષ્ઠાન’ તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું. જગતનું કોઈ ‘અધિષ્ઠાન' હોવું જોઈએ, એમ ઘણાખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે ‘અધિષ્ઠાન' છે. અને તે ‘અધિષ્ઠાન' તે હરિ ભગવાન છે. જેને ફરી ફરી હૃદયદેશમાં જોઈએ છીએ. ‘અધિષ્ઠાન’ વિષે તેમ જ ઉપલાં કથન વિષે સમાગમે અધિક સત્કથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં. માટે આટલેથી અટકું છું. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકર્મનો ઉદય તેમ વર્તતાં તેમને બાધ હોતો નથી. દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો; તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય ? શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું. લખ્યું જતું નથી. સ્વર્ગ-નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે. જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. કારણ લખતાં કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો, એમ મને નિઃશંકતા છે. તીર્થંકરદેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેને નમસ્કાર.
SR No.330338
Book TitleVachanamrut 0218
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy