________________ 214 અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે મુંબઈ, ફાગણ સુદ 5, રવિ, 1947 અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણ જેવું એકે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉગાર નીકળે છે. આજે કૃપાપૂર્વક આપે મોકલેલું વેદાંતનું ‘પ્રબોધશતક' નામનું પુસ્તક પહોંચ્યું. ઉપાધિની નિવૃત્તિના પ્રસંગમાં તેનું અવલોકન કરીશ. ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત મનોયોગને લીધે ઇચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે. આજ્ઞાંકિત.